જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ: મોટીગોપ ગામમાં વીજળી પડવાથી એક ભેંસનું મૃત્યુ
- લાલપુરના ભણગોરમાં પણ અઢી ઇંચ વરસાદ: મોટા અને ડબાસંગ માં એક ઇંચ વરસાદ નોંધાયો
- જોડીયામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો: લાલપુરમાં પણ એક ઇંચ પાણી પડ્યું: અન્યત્ર વરસાદી ઝાપટા
જામનગર,તા.15 જુલાઈ 2021,ગુરૂવાર
જામનગર જિલ્લાના લાલપુર -જામજોધપુર અને જોડિયામાં ગઈકાલે પણ મેઘ સવારી ચાલુ રહી હતી. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ થયો હતો. જ્યારે મોટી ગામમાં વીજળી પડવાથી એક ભેંસ મૃત્યુ થયું છે. લાલપુરના ભણગોરમાં પણ અઢી ઇંચ વરસાદ થયો હતો. જોડિયામાં ધોધમાર દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. ઉપરાંત લાલપુરના ગ્રામ્ય પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ થયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘ સવારી થઈ રહી છે. જે મુજબ ગઈકાલે સાંજે મોટી ગોપ ગામ માં કડાકા-ભડાકા સાથે વરસાદ પછી વીજળી પડવાના કારણે એક ભેંસનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં ગઈકાલે 65 મિમી પાણી પડી ગયું હતું. જયારે ધુનડામાં 48 મી.મી વરસાદ થયો હતો. સમાણા ગામમાં પણ 30 મીમી વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં પણ અઢી ઇંચ વરસાદ થયો છે ઉપરાંત મોટાખડબામાં 32 મીમી, ડબાસંગમાં 34 મીમી, પીપર ટોડામાં 25 મીમી. અને પડાણામાં 21 મિ.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના જોડિયામાં ગઈ કાલે બપોર પછી હવામાન પલટાયું હતું, અને ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે લાલપુર ટાઉનમાં પણ મોડી સાંજે 22 મિમી વરસાદ નોંધાયો હતો. આજે પણ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ છે, અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.