કોરોનાના દર્દી સાથે ટ્રેનની મુસાફરી કરનારા 12 પ્રવાસીઓને શોધી કઢાયા
- થર્મલ સ્કેનીંગ કરાતા તમામ ભયમુક્ત
- કોઇ મુસાફરને તકલીફ ન જણાતા તંત્રએ અનુભવ્યો હાશકારો
જામનગર, તા.20 માર્ચ 2020, શુક્રવાર
મુંબઈ થી જામનગર આવતી ટ્રેન માં રાજકોટના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીએ મુસાફરી કરી હતી. તે ટ્રેનના ડબ્બામાં કુલ ૭૧ મુસાફરો હતા જે પૈકી જામનગરના પણ ૧૨ જેટલા પ્રવાસીઓએ ઉપરોક્ત ડબ્બામાં મુસાફરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના પ્રવાસીઓનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો. અને તેઓની ચકાસણી કરાઈ હતી. જોકે તમામ ભયમુકત હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં રાજકોટના પ્રવાસીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે ટ્રેનમાં મુસાફરી કરી હોવાથી જે ડબ્બામાં મુસાફરી કરી હતી. તે ડબ્બાના મુસાફરોને શોધવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી હતી.
ગત સાતમી તારીખે તેણે ટ્રેનમાં મુસાફરી કરી હોવાથી તે દિવસે જામનગર આવનારા ૧૨ મુસાફરો ના નામ ની યાદી તૈયાર કરી તેઓને શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને આજ સવાર સુધીમાં મોટાભાગના પ્રવાસીઓને શોધી લેવામાં આવ્યા છે. ઉપરાંત તેઓનું થર્મલ સ્કેનિંગ પણ કરી લેવામાં આવ્યું હતું. જો કે એક પણ મુસાફરને કોઈ તકલીફ નહીં હોવાનું ધ્યાનમાં આવતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.