જામનગરથી ઉત્તરપ્રદેશના બલિયા સુધીની 1200 પરપ્રાંતિય શ્રમિકોને લઈને ટ્રેન રવાના
- હાલ સુધીમાં 3600થી વધુ શ્રમિકોને ટ્રેન મારફત વતન મા મોકલાયા
જામનગર તા. 08 મે 2020, શુક્રવાર
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના ભાગરૂપે જિલ્લામાં દરેડ અને ખાવડી વિસ્તારના કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી બપોરે 12.00 કલાકે 1200 જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના બલિયા ખાતે વતનમાં પરત ફરવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ઉત્તરપ્રદેશ માટે બીજી ટ્રેન મોકલવામાં આવી છે. હાલ સુધીમાં જામનગરથી ઉત્તરપ્રદેશ માટે બે ટ્રેન અને બિહાર માટે 1 ટ્રેન એમ કુલ 3 શ્રમિક ટ્રેન રવાના થઇ ચૂકી છે.
ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.
રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. ટિકીટ એક્ઝામિનર તથા વરીષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રમિકોને તાળીઓથી વધાવી અને હાથ હલાવીને વિદાય આપવામાં આવી હતી.