Image Source: Freepik
પાસેજ આવેલી એક વાડીના માલિકનો મોબાઇલ ફોન પણ તસ્કરો ચોરી ગયાની ફરિયાદ
જામનગર, તા. 10 જુલાઈ 2023 સોમવાર
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં શનિવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા, અને લોબીમાંથી અંદર પ્રવેશ મેળવી લઇ વિદ્યાર્થીઓની ફીની ૬૧ હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જ્યારે પાસે જ આવેલી એક વાડીમાં ખેડૂત ના મોબાઈલ ફોનની પણ તસ્કરો ચોરી કરી ગયા ની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
આ ચોરીના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં આવેલી વિઝન અને સંસ્કાર સ્કૂલમાં શનિવારે રાત્રિના એક વાગ્યાથી બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ તસ્કરો ત્રાટક્યા હતા, અને શાળાની લોબી માંથી અંદર પ્રવેશ મેળવી લઇ ઓફિસમાં ટેબલના ખાનામાંથી ૬૧,૦૦૦ ની રકમ કે જે વિદ્યાર્થીઓની ફીની રકમ હતી, તેની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત શાળાની બાજુમાં જ આવેલી કાસમ ભાઈ નામના ખેડૂતની વાડીમાં પ્રવેશ કરી તેનો મોબાઇલ ફોન ચોરી કરી ગયા હતા.
આ બનાવ અંગે શાળાના સંચાલક ધવલભાઈ વૈષ્ણવે પોલીસને જાણ કરતાં જામજોધપુર ની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


