જામનગરમાં વેપારીઓ હવે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવે તો આકરો દંડ
- મહાપાલિકા દ્વારા કોરોના લોકડાઉન સંદર્ભે 32 ટીમોનું ચેકિંગ
- બીજા તબક્કાનાં લોકડાઉનનાં પ્રથમ દિવસે 22 વેપારીઓને જાહેરનામા ભંગ બદલ રૂા. 4,400નો દંડ ફટકારાયોઃ હવે ગ્રાહકો પણ દંડાશે
જામનગર, તા. 16 એપ્રિલ 2020, ગુરુવાર
જામનગર શહેરમાં લોકડાઉન-૨ની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે અનાજ કરિયાણા અને રાસન ની દુકાન તેમજ અન્ય આવશ્યક ચીજ વસ્તુના વિક્રેતાઓ કે જે પોતાની દુકાને અથવા તો લારીઓમાં લોકોની ભીડ એકત્ર કરે છે. અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, તેવા વેપારીઓ સામે જામનગર મહાનગર પાલિકાના તંત્રએ લાલ આંખ કરી છે.લોક ડાઉન -૨ ના સમયગાળા દરમિયાન ગઈકાલે પ્રથમ દિવસે ૨૨ વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને ડેપ્યુટી કમિશનર શ્રી એ.કે વસ્તાણીની રાહબરી હેઠળ જામનગર શહેરના જૂના સેટ અપ મુજબ વોર્ડ પ્રમાણે ૩૨ એસ.એસ.આઈ. ની નિમણૂક કરવામાં આવી છે અને જામનગર શહેરમાં લોક ડાઉન -૨ દરમિયાન સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે દુકાનદારો અથવા તો શાકભાજી ની રેકડી ના વિક્રેતાઓ પોતાના ધંધાના સ્થળે લોકોની ભીડ એકત્ર કરે છે અને લોક ડાઉનલોડ નો ભંગ કરી રહ્યા છે, તેવા વિક્રેતાઓને કડક ચેતવણી આપી છે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ગઈકાલથી લોક ડાઉન -૨ ની અમલવારી શરૂ થઈ છે ત્યારે જુદા જુદા વિક્રેતાઓને ત્યાં એક મીટરનું અંતર જાળવીને જ લોકો ખરીદવા માટે આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જાણ કરવામાં આવી છે. અન્યથા જો કોઈ વેપારીઓ પોતાના ધંધાના સ્થળે ભીડ એકઠી કરશે તો તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની અમલવારી ગઇકાલથી જ શરૂ કરી દેવામાં આવી છે.
૩૨ એસ એસ આઈ ની ટીમ હેઠળ ગઈકાલે ૨૨ વેપારીઓ દંડાયા હતા અને તેઓ પાસેથી ૨,૦૦ રૂપિયા લેખે રૂપિયા ૪,૪૦૦ નો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે. ઉપરાંત આજે સવારે પણ તમામ વોર્ડ મા સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. લોક ડાઉન નો ભંગ કરનાર વેપારીઓ તેમજ ભીડ મા એકત્ર થનાર લોકો પાસેથી પણ ૨૦૦ રૂપિયાના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે.
આ પ્રક્રિયા લોક ડાઉન -૨ ના સમયગાળા દરમિયાન પ્રતિદિન હાથ ધરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર દ્વારા જણાવાયું છે. જેથી લોકોએ ખરીદી કરવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
મનપા અને પોલીસની ટીમની તપાસ દરમ્યાન
જૂનાગઢમાં સોશીયલ ડિસ્ટન્સ રાખવાનું પાલન ન કરતા 38 વેપારી દંડાયા
9850 રૂપીયાનો દંડ વસુલ કરી વેપારીઓને ગ્રાહકો વચ્ચે સોશીયલ ડિસ્ટન્સ જાળવવા અંગે અપાઈ સુચના
જૂનાગઢ મનપા અને પોલીસ ટીમની તપાસ દરમ્યાન સોશીયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા ૩૮ વેપારીઓને ૯૮૫૦ રૂપીયા દંડ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વધુ વિગત મુજબ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા સોશીયલ ડિસ્ટન્સ જરૂરી છે. જૂનાગઢમાં આવશ્યક ચીજવસ્તુની ખરીદી વખતે દુકાન મોલ ખાતે સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સુચના અપાઈ છે અને તેની તપાસ માટે ત્રણ ટીમ બનાવાઈ છે. જૂનાગઢના વિવિધ વિસ્તારમાં તપાસ દરમ્યાન ૩૮ વેપારીઓ પાસેથી ૯૮૫૦ રૂપીયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.