જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મંજૂરી વગર ત્રણ દુકાનોનું બાંધકામ તોડી પડાયું
- જાહેર માર્ગો પર ગંદકી કરનાર 12 રેકડી ધારકોની રેકડીઓ કબજે લેવાઈ
જામનગર, તા. 18 માર્ચ 2020 બુધવાર
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ત્રણ દુકાનોનું બાંધકામ ખડકી દેવાયું હતુ. જે અંગે મ્યુનિ. કમિશનરને ધ્યાનમાં આવતા તેઓએ પોતાની હાજરીમાં એસ્ટેટ શાખાની મદદથી મંજૂરી વગરનું બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો અને તમામ બાંધકામ દૂર કરાયું છે.
ઉપરાંત ગુલાબ નગર રોડ પર જાહેર માર્ગો પર ગંદકી કરનારા 12 રેકડી ધારકો સામે પણ દંડકીય કાર્યવાહી કરી હતી અને ગંદકી કરનારા 12 રેકડી ધારકોની રેકડીયો કબજે કરી લેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે ગુલાબનગર વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યું હતું અને જાહેરમાં પિચકારી મારનારા અને થૂકવાવાળાઓ સામે દંડકીય કાર્યવાહી કરવા ઉપરાંત જાહેર માર્ગ પર ઊભી રહેતી રેકડીઓ કે જેઓ દ્વારા આસપાસના વિસ્તારમાં ગંદકી કરતા હોય તેની ચકાસણી કરવા માટે ખુદ મ્યુનિ. કમિશનર અને જામ્યુકોની ટીમ તપાસમા નીકળી હતી. જેમાં ગુલાબ નગર રોડ પર ગંદકી કરવામાં આવતી હોય તેવી અલગ અલગ એકાદ ડઝન જેટલી રેકડી કેવી સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે અને રેકડીઓ કબજે પણ કરી લેવાઈ છે.
આ ઉપરાંત મ્યુનિ. કમિશનર સતિષ પટેલ અને જામ્યુકોની ટીમ દ્વારા ગુલાબ નગર રોડ પર સર્વે કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન એક આસામી દ્વારા જુદી જુદી ત્રણ દુકાનો ખડકી દેવાઇ હટી જેની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. જેથી મ્યુનિ. કમિશનરની હાજરીમાં ત્રણ દુકાનોનું મંજૂરી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતુ.
જામનગર શહેરમાં કેટલાક રેકડી ધારકો જેઓ પોતાને ત્યાં નાસ્તો કરવા આવનારા લોકો માટે કચરો ફેંકવાની વ્યવસ્થા કરતા ન હોવાથી જાહેર માર્ગો પર ગંદકી ફેલાય છે. તેવા વિક્રેતાઓ સામે આજે પણ કાર્યવાહી હાથ ધરી છે અને પ્રત્યેક રેકડી ધારક પાસેથી રૂપિયા 500-500નો દંડ વસૂલવામાં આવે છે અને સ્વચ્છતા જાળવવા અંગેના સૂચનો કરવામાં આવે છે. જાહેર માર્ગની અડચણરૂપ અથવા તો ગંદકી કરનાર વિક્રેતા નજરે પડશે તો તેઓની રેકડી જપ્ત કરવામાં આવશે.