પ્રતિ કલાકના ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે જનજીવન પર અસર
જામનગર તા ૨,
જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલથી હવામાનમાં પલ્ટો આવ્યો છે, અને સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ બન્યા પછી ગઈ કાલે મોડી સાંજથી બર્ફીલો તોફાની પવન ફુંકાયો હતો, અને પ્રતિ કલાકના ,૩૦થી ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જનજીવનને વ્યાપક અસર જોવા મળી હતી. હવામાન ખાતા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં માવઠું થવાની આગાહી કરાયાના પગલે જામનગર જિલ્લામાં પણ બદલાયેલા હવામાનને લીધે વાતાવરણમાં ઠંડક રહી હતી.
સાથોસાથ પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. આજે પણ વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે, જેથી લોકોએ વહેલી સવારથી જ ગરમ વસ્ત્ર પહેરીને નીકળવાનું પસંદ કર્યું છે. આકાશમાં વાદળોના આંટાફેરા ને લઈને સૂર્યદેવતા સંતાકૂકડી રમી રહ્યા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૮.૦ ,ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું, જ,યારે પવન ની ગતી સરેરાશ પ્રતિ કલાકના ૨૫ કિ.મી.ની ઝડપે રહી હતી જે વધીને ૩૫ કિમી સુધી પહોંચી હતી. હજુ પણ વાદળછાયુ વાતાવરણ રહેવા અંગેની આગાહી કરવામાં આવી છે, જેથી ઠંડી માં વધારો થાય તેવી શક્યતા છે.


