જામનગરમાં ચાંદી બજારમાં આવેલી ચાંદીના ઘરેણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- ચાંદીના ઘરેણા લઈ રફુચક્કર થયેલી વૃદ્ધ મહિલાને સીટી એ. ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધી લીધી
જામનગર,તા.23 ડિસેમ્બર 2022,શુક્રવાર
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલી એક ચાંદીના ઘરેણાની દુકાનમાં ખરીદી અર્થે આવેલી મહિલાએ વેપારીની નજર ચૂકવી રૂપિયા ૧૩,૦૦૦ ની કિંમતના ચાંદી ના ઘરેણાંની ચોરી કરી જઈ રફુ ચક્કર થઈ હતી. જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કર મહિલાને શોધી કાઢી છે, અને ચોરાઉ દાગીના કબજે કરી લીધા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જૂની સોની બજારમાં હુસેની જ્વેલર્સ નામની ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતા વેપારી કેઝારભાઈ મામુજી દાઉદી વ્હોરા (૭૨ વર્ષ) કે જેઓ રવિવારે સવારે પોતાની દુકાને બેઠા હતા.
જે દરમિયાન અજ્ઞાત મહિલા ચાંદીના ઘરેણા ખરીદવા માટે આવી હતી, અને અલગ અલગ ઘરેણા અને તેનું વજન બાબતે વેપારીને વાતોમાં પરોવી રાખીને મહિલા દ્વારા ચાંદીના સાંકળા અને ચાંદીની લકી સહિત રૂપિયા ૧૩,૦૦૦ ની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરી લીધી હતી, અને ત્યાર પછી ખરીદી કરવાનું ટાળીને મહિલા ચાલતી થઈ ગઈ હતી.
પાછળથી વેપારીને શંકા જતાં તેઓએ પોતાની દુકાનના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા, જેમાં તેમની દુકાનમાંથી ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વેપારી કેઝારભાઈ અને તેના પુત્ર મુર્તુઝાભાઈ સિટી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલા સામે રૂપિયા ૧૩,૦૦૦ ની કિંમતના ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કરી જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, અને જામનગરના પ્રદર્શન મેદાન ની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી મૂળ ગોંડલની વતની લીલાબેન બધા ભાઈ સોલંકી (ઉમર વર્ષ ૬૫) ની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા ૧૩,૦૦૦ ની કિંમત ના ચાંદીના ઘરેણા કબજે કરી લીધા છે, અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.