- અકસ્માત ગ્રસ્ત બનેલા યુવાનની રોકડ-મોબાઈલ-અને જરૂરી ડોક્યુમેન્ટ તેના પરિવારજનોને શોધી ને સુપ્રત કર્યા
જામનગર તા ૪, જામનગરની ૧૦૮ની એમ્બ્યુલન્સની ટીમે ગઈકાલે રાત્રે અકસ્માતગ્રસ્ત બનેલા એક યુવાન ની રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સહિતનું સાહિત્ય ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનો ને શોધીને તેને સુપ્રત કરી દઈ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગરમાં મચ્છર નગર વિસ્તારમાં રહેતો યુવરાજસિંહ વાઢેર નામનો એક યુવાન ગઇકાલે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં મોટી ખાવડી થી પોતાનું બાઈક લઈને જામનગર તરફ આવવા માટે નીકળ્યો હતો, જે દરમિયાન સિકકા પાટીયા આસપાસના વિસ્તારના અચાનક એક ખુંટિયો માર્ગ પર આવી જતાં બાઈક સાથે ટકરાઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં યુવરાજસિંહ ને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ બેશુદ્ધ બન્યો હતો. જે બનાવ અંગે ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવતાં ૧૦૮ની ટીમના ઇ.એમ.ટી. મોહમ્મદભાઈ શફી, તેમજ પાયલોટ આશિષભાઈ મુંગરા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ઇજાગ્રસ્ત યુવાન માર્ગ પર બેશુદ્ધ અવસ્થામાં પડેલો હતો.
જેને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડયો હતો. જ્યાં તેની સઘન સારવાર ચાલુ કરાવી દીધી હતી. આ સમયે ઇજાગ્રસ્ત યુવાન ની પાસે રોકડ રકમ હતી, ઉપરાંત મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહીતના જરૂરી ડોક્યુમેન્ટ પણ હતા. જે તમામ એકત્ર કરી લઇ ઇજાગ્રસ્તના મામા ને શોધી કાઢ્યા હતા, અને તેઓને જી.જી.હોસ્પિટલમાં બોલાવી લઈ તમામ ડોક્યુમેન્ટ રોકડ અને મોબાઈલ વગેરે સુપરત કરી દીધા હતા, અને પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેથી યુવરાજસિંહ ના પરિવારજનો એ ૧૦૮ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો, અને તેઓની પ્રમાણિકતાની પ્રશંષા પણ કરી હતી.


