Gujarat

જામનગરમાં સાળીની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં ભાગી છૂટેલો હત્યારો બનેવી ઝડપાયો

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
જામનગરમાં સાળીની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં ભાગી છૂટેલો હત્યારો બનેવી ઝડપાયો

- આરોપીની પત્ની રીસામણે બેઠી હોવાથી તેમાં મરનાર કારણભૂત હોવાનું માનીને કાસળ કાઢી નાખ્યાની કબૂલાત

જામનગર, તા.28

જામનગરમાં કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી વિસ્તારમાં એક પરણિત યુવતી પર છરીના ઘા ઝીંકી દઇ નિર્મમ હત્યા નીપજાવી હતી, જે હત્યાર નિપજાવવા અંગે મૃતકના બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પત્ની કે જે મરનારની બહેન થાય છે, તે રીસામણે બેઠી હોવાથી તેમાં મરનારે ચડામણી કરી હોવાનું અનુમાન લગાવીને કાસળ કાઢી નાંખ્યું હોવાનું આરોપીએ કબૂલ્યું છે. ઉપરાંત પોતાના સાઢુભાઈ ને પણ છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતી કરીમાબેન ઉર્ફે મીનાબેન શકીલભાઈ સિપાઇ નામની પરિણીત યુવતી પર શનિવારે બપોરે સરાજાહેર છરીના ઘા ઝીકી હત્યા નીપજાવાઈ હતી. જે હત્યા પ્રકરણના મૃતક ના પતિ સકિલભાઈ ઈસ્માઈલભાઈ સિપાઈએ પોતાની પત્નીની હત્યા નિપજાવવા અંગે મૃતકના બનેવી અને પોતાના સાઢુભાઈ એવા અમદાવાદમાં રહેતા ફિરોજ ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કાજી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાને પણ છરીની અણીએ ધમકી આપ્યાનું જાહેર કરાયું હતું. જે મામલે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા ની કલમ 302 સહિતની જુદી જુદી કલમો હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને આરોપીની શોધખોળ હાથ ધરાઇ હતી.

જે દરમિયાન સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોતરફ દોડધામ કર્યા પછી ગણતરીના કલાકોમાં જ આરોપી ફિરોજ ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કાજી ની અટકાયત કરી લેવાઈ હતી, અને તેનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચલાવવામાં આવી રહી હતી, જે દરમિયાન તેણે કબૂલાત આપી હતી કે, પોતાની પત્ની જરીનાબેન કે જે હાલ રીસામણે બેસીને માવતરે ચાલી ગઈ છે, જેને મરનાર કરીમાબેને ચડામણી કરી રહી છે, તેવું અનુમાન લગાવીને હત્યા કરવાના ઇરાદાથી જામનગર આવ્યો હતો, અને ખૂની હુમલો કરી નાખ્યો હતો, જેમાં કરીમાંબેનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આરોપીની પત્ની જરીનાબેન અને મરનાર કરીમાબેન કે જે બંને બહેનો થાય છે, અને પોતાની પત્નીને ચડામણી કરવામાં આવે છે, તેવું તારણ કાઢીને પોતે આ હુમલો કર્યાની કબુલાત આપી દીધી હતી. સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.