1200 શ્રમિકોને લઈ પ્રથમ ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના
- જામનગર જિલ્લામાંથી ૫૭૦ ખાનગી બસો મારફતે ૧૫૭૦૦ શ્રમિકો વતન જવા રવાના
- જામનગર જિલ્લામાંથી ૫૭૦ લકઝરી બસ મારફતે ૧૫,૭૦૦ શ્રમિકોને તેઓના વતનમાં રવાના કરાયા છે.
જામનગર, તા. 6 મે, 2020, બુધવાર
જામનગર જિલ્લામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો મજુરી કામ કરી રહ્યા છે. જે પૈકીના કેટલાક લોકો પોતાના વતનમાં જવા ઈચ્છતા હોય તો જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આવા શ્રમિકોને ખાનગી બસો મારફતે તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૫૭૦ જેટલી ખાનગી લક્ઝરી બસમાં ૧૫,૭૦૦ થી વધુ શ્રમિકોને તેમના વતનમાં રવાના કરી દેવાયા છે. જ્યારે આજે ઉત્તર પ્રદેશ તરફ પ્રથમ શ્રમિક એક્સપ્રેસ ટ્રેન રવાના થઇ હતી. હજુ ઉત્તર પ્રદેશ, બિહારના શ્રમિકો માટે ટ્રેન દોડાવાશે
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ચાર દિવસ ના સમયગાળા દરમિયાન પંચકોશી બી ડિવિઝન વિસ્તારમાંથી જેમાં ખાસ કરીને દરેડ અને આસપાસના વિસ્તારમાં ૧૪૬ જેટલી બસોમાં ૪૮૦૦ જેટલા શ્રમિકોને તેમના વતન મધ્ય પ્રદેશ અથવા પંચમહાલ- ગોધરા વગેરે જિલ્લામાં રવાના કરી દેવાયા છે.
આ ઉપરાંત પંચકોશી એ ડિવિઝન માં ૩૧ બસ મારફતે, સિક્કાના ૧૧ બસ મારફતે, મેઘપર પડાણા માથી ૨૪ બસ મારફતે, અને કાલાવડ ટાઉનમાં ૨૦ ખાનીગ બસ મારફતે શ્રમિકો ને રવાના કરવામાં આવ્યા છે.
કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૧૦ ખાનગી બસ મારફતે ૩,૬૦૦થી વધુ શ્રમિકોને રવાના કરી દેવાયા છે, તે ઉપરાંત જામજોધપુરમાં થી ૩૯, શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પાંચ, લાલપુર માંથી ૮, ધ્રોલ માંથી ૮૪ અને જોડિયા વિસ્તારમાંથી ૧૪ ખાનગી લક્ઝરી બસ મળી કુલ ૫૭૦ ખાનગી લક્ઝરી બસ મારફતે ૧૫,૭૦૦થી વધુ શ્રમિકોને તેમના વતનમાં રવાના કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે સૌપ્રથમ ઉત્તર પ્રદેશ માટેની એક ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપરથી આજે મોડી સાંજે બારસો જેટલા શ્રમિકોને લઈને ઉત્તર પ્રદેશના ગાજીપુર સુધી ટ્રેન રવાના થઈ હતી.ત્યાર પછી ઉત્તર પ્રદેશ બિહાર સહિતના અન્ય રાજ્યોમાં પણ ટ્રેન મારફતે શ્રમિકોને વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.