જામનગરમાં ભારે વરસાદથી વરસો જૂની શ્રી સત્યનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલ ક્ષતિગ્રસ્ત થઈ
જામનગર,તા.30 જુન 2023,શુક્રવાર
જામનગરમાં હવાઇ ચોકથી ભાટ્ટની આંબલી તરફ જવાનાં માર્ગે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલનો અમુક ભાગ વરસાદમાં ધરાશાયી થયો છે.
ગતરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદથી લગભગ એક સદીથી વધુ જૂની ઇમારતને ક્ષતિ પહોંચી હતી અને અમુક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર થયેલ આ અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજા થઇ નથી કે જાનહાનિ થઇ નથી, તેને ભક્તો સત્યનારાયણ ભગવાનની કૃપા ગણી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક આનુસાંગિક કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ધરાશાયી થયેલ દિવાલનાં કાટમાળને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.