જામનગરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન સુધીના વિસ્તારને વહીવટીતંત્રએ સીલ કર્યો
- કોરોના સંક્રમિત દર્દી તીનબત્તી વિસ્તારમાં દવા લેવા આવ્યો હોવાથી વહીવટી તંત્રની કાર્યવાહી
- કોરોના સંક્રમિત દર્દીના પિતા પણ ત્રણબત્તી વિસ્તારની હોટલમાં કરે છે નોકરી
જામનગર, તા. 21 મે 2020 ગુરૂવાર
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં જૂના રેલવે સ્ટેશન થી ત્રણબત્તી વિસ્તારના સમગ્ર એરીયાને આજે સવારે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણપણે સીલ કરી દેવાયો છે. અને વાહનની અવરજવર માટે તેમ જ દુકાન ખોલવા માટે નો પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમિત એક્ દર્દી દવા લેવા માટે આવ્યો હોવાથી તેમજ દર્દીના પિતા પણ તે વિસ્તારની એક હોટલમાં નોકરી કરતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા સીલીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરાઈ રહ્યો છે.
જામનગરના સ્વામી નારાયણનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનો કોરોનાવાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી પરંતુ તેનું સ્થાનિક સંક્રમણ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. જે કોરોના સંક્રમિત દર્દી ત્રણબત્તી નજીક આવેલા એક મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે ગયો હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા જુના રેલવે સ્ટેશનથી ત્રણબત્તી સુધીના વિસ્તારને શીલ કરી દીધો છે. અને અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉપરાંત કેટલાક વિસ્તારની તમામ દુકાનો પણ સીલ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીના પિતા પણ ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી એક હોટલમાં નોકરી કરતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કર્યા પછી તેને શેનીટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મેડીકલ સ્ટોરના સંચાલક અને દુકાનમાં કામ કરતા કર્મચારી વગેરેના સૅમ્પલો લેવામાં આવ્યા છે. અને તેઓને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.