જામનગર તા ૩૦,
જામનગર મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. બી.પી. અને ચામડી સહિતની બીમારીના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ મધુવન સોસાયટીમાં રહેતા અને જામનગર મહાનગર પાલિકામા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સંજય હરજીભાઈ પરમાર નામના 44 વર્ષના વાલ્મિકી યુવાને ગઈ કાલે બપોરે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના શિક્ષિકા પત્ની રોહિણીબેન સંજયભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે મરતાં પહેલાં પોતાના હાથે સુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની ચામડી અને બી.પી. ની બીમારીના કારણે આત્મહત્યા કરી રહ્યાનું લખ્યું હતું, અને તેના આ પગલાં અંગે પરિવારના અન્ય કોઈ સભ્યો દોષિત નથી, તેવો ઉલ્લેખ કર્યો હતો. જે ચિઠ્ઠી પોલીસે કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે.


