જામનગર, તા. 17
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા લાલપુર બાયપાસ ચોકડી પર ઓવરબ્રીજ બનાવવા તેમજ લાલપુર ચોકડીથી સમર્પણ સર્કલ સુધીના રોડ પર બન્ને સાઈડમાં સર્વિસ રોડ બનાવવા મ્યુનિ. કમિશનર તથા મેયર ને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેરનો મુખ્ય ઉદ્યોગ બ્રાસપાર્ટસ છે. જે જામનગર શહેરના શંકર ટેકરી ઉદ્યોગનગર તથા જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં વધુ કાર્યરત છે. જેમાં અંદાજે 4000 જેટલા નાના-મોટા કારખાનાઓ ફક્ત જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં આવેલા છે. તેમજ નવા નવા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પણ વિકસિત થતા આવે છે. આ તમામ કારખાનાઓમાં અંદાજે એક લાખથી વધુ કામદારો કામ કરતા હશે, જેઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં રોજીરોટી કમાવા આવે છે.
આ કારખનાઓમાં જવા-આવવા માટે લાલપુર બાયપાસ ચોકડી રોડ ઉપર થઈને જ જવું પડે છે. વધુમાં રાજકોટ તરફથી આવતા અને દ્વારકા તરફ જવા માટે પણ આ એક જ બાયપાસ રોડ લાગુ પડતો હોય છે, જેથી આ રોડ ઉપર સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ ટ્રાફિક રહે છે. જેમાં ખાસ કરીને સવારે કારખાને જવાના તથા સાંજના કારીગરોને છૂટવાના સમયે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે, અને અવારનવાર અકસ્માતો થાય છે. અને કામદારોને તેમની અમૂલ્ય જિંદગી ગુમાવવી પડે છે.
આ રોડ ઉપર ઓવરબ્રીજ બનાવવામાં આવે તો રાજકોટ તરફથી આવતો અને દ્વારકા તરફ જતાં મુસાફરોને ઓવરબ્રીજ ઉપર થઈ સીધા દ્વારકા માર્ગ તરફ જઈ શકાય, આથી આ વિસ્તાર (લાલપુર બાયપાસ ચોકડી) પર ટ્રાફિક ઓછો થવાથી જી.આઈ.ડી.સી. ફેઈસ-2, ફેઈસ-3માં કામ કરવા જતાં કામદારો સહેલાઈથી આ રોડ પરથી અવર-જવર કરી શકશે, અને તેઓના જાનમાલની સલામતી જળવાઈ રહેશે.
વધુમાં લાલપુર બાયપાસ ચોકડીથી સમર્પણ જતા રોડ ઉપર કામદારો દરરોજ આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, તેમજ આ રોડ ઉપર એક પુલ પણ આવેલ છે. આથી કામદારોને રોડ ક્રોસ કરવા સમયે ઘણી વખત અકસ્માતો થાય છે. આથી આ રોડની બન્ને સાઈડમાં સર્વિસ રોડ અતિ આવશ્યક છે. જેથી અકસ્માતો ઘટશે, અને ટ્રાફિક પણ મહદ્અંશે ઓછો રહેશે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.


