જામનગરમાં ચેમ્બર કોલોની વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ અને મકાન પર પથ્થરમારો : ચાર સામે ફરિયાદ
image : Freepik
જામનગર,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર
જામનગરમાં ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળ તેમજ રહેણાક મકાન પર ચાર જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આથી મામલો પોલીસમાં લઈ જવાયો છે, અને ચારેય આરોપી સામે પથ્થરમારો કરવા અંગે ગુન્હો નોંધાયો છે. જેમાં ત્રણ શખ્સોને પોલીસે ઉઠાવી લીધા છે.
જામનગરમાં ચેમ્બર કોલોની વિસ્તારમાં રહેતા અને રાધાકૃષ્ણ મંદિરનું સંચાલન કરતાં લખમણભાઇ તેજાભાઈ પરમાર નામના બુઝુર્ગે પોતાના મકાન પર પથ્થર મારો કરવા અંગે તેમજ બાજુમાં જ આવેલા રાધાકૃષ્ણ મંદિરના પરિસરમાં પણ પથ્થર ફેંકવા અંગે તે જ વિસ્તારમાં રહેતા નાઝીર, કમલેશ, ચેતન અને આશિષ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી લખમણભાઇ અને આરોપી નજીર વચ્ચે બાળકો બાબતે તકરાર થઈ હતી. તેનું મનદુખ રાખીને તેમના ઘર પર પથ્થર મારો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જેમાં ધાર્મિક સ્થળ સુધી પથ્થર ગયા હતા. જોકે ધાર્મિક સ્થળમાં કોઈ તોડફોડ નુકસાની કરવાનો ઇરાદો ન હતો. જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.અમિત ચૌધરી સુધી પહોંચ્યો હતો અને તેઓએ સમગ્ર મામલે ગંભીરતા લઈ આઈપીસી કલમ 295 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, અને નાઝીર, કમલેશ અને ચેતન નામના ત્રણ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.