Gujarat

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ગેસ ભરેલા ટેન્કરો માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું મસ મોટું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ્યું

By GS Team
6 Aug 20234 mins read
This article was originally published on 6 Aug 2023
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ગેસ ભરેલા ટેન્કરો માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું મસ મોટું કારસ્તાન એસ.ઓ.જી.એ પકડી પાડ્યું

- લોકોને જીવને જોખમમાં મૂકીને ગેસ ટેન્કર માંથી બાટલામાં ગેસનું રીફિલિંગ કરી ચોરી કરી રહેલા પાંચ શખ્સોને એસ.ઓ.જી.એ દબોચી લીધા

- બે ગેસ ટેન્કર-56 નંગ ગેસના બાટલા અને તેની સામગ્રી સહિત 74.31 લાખનો મુદ્દા માલ કબજે: મુખ્ય સૂત્રધાર સહિત બેની શોધખોળ

જામનગર, તા. 06 ઓગષ્ટ 2023, રવિવાર

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ નજીકના વિસ્તારમાં કેટલાક શખ્સસો દ્વારા જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને એલપીજી ભરેલા ગેસ ટેન્કર માંથી મોટા પાયે ગેસ નિ ચોરી કરીને  નાના-મોટા બાટલાઓમાં ગેસનું રીફિલિંગ કરી મોટુ કારસ્તાન ચલાવવામાં આવતું હોવાનું એસ.ઓ.જી. શાખા ની ટુકડીને ધ્યાનમાં આવ્યા પછી દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી બે ગેસ ટેન્કરો ઉપરાંત 56 નંગ ગેસ રીફિલિંગ ના બાટલા અને તેને લગતી સામગ્રી સહિત 74.31 લાખની માલમતા કબજે કરી લીધી છે. આ ગેરકાયદે રીતે ગેસ રીફિલિંગ નું કારસ્તા ચલાવનાર મુખ્ય સૂત્રધાર સહિત બેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરની એસ.ઓ.જી શાખા ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતો વનરાજસિંહ સોઢા નામનો શખ્સ કે જે રાજકોટના ભાણો નામના અન્ય એક શખ્સની મદદથી મોટી ખાવડીમાંથી એલપીજી  ભરીને નીકળનારા ટેન્કરો માંથી જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા પાટીયા નજીક આવેલી એક હોટલમાં પાછળના ભાગમાં ગેસ રીફિલિંગ નું કારસ્તાન ચલાવવામાં આવે છે, અને ગેસ ટેન્કર ના સિલ તોડી વાલ્વ માંથી ગેસ ની ચોરી કરી બાટલાઓમાં ટ્રાન્સફર કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકાય તેવુ કારસ્તાન કરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી મળી હતી.

જે બાતમી ના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ખીજડિયા બાયપાસ નજીક આવેલી સુપ્રીમ હોટલના પાછળના ભાગમાં એક ખુલ્લા પ્લોટ માં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન જુદા જુદા બે ગેસ ભરેલા ટેન્કર માંથી તેના વાલ્વ ના સીલ તોડી છેડછાડ કરી નળી મારફતે 20 કિલોના કોમર્શિયલ માં ગેસ રીફિલિંગનું કારસ્તાન આચરવામાં આવતું હોવાનું રંગે હાથ પકડી પાડ્યું હતું. 

એસ.ઓ.જી. ની ટુકડીએ પાડેલા દરોડા દરમિયાન ગેસ ની ચોરી કરી રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ના રત્નાભાઇ દેવાભાઈ મોરી, ભાણવડ નજીકના જંબુસર ગામના મનીષ અરશીભાઈ ઓડેદરા, જામજોધપુરના સતાપર ગામના સામત માયાભાઈ મોડ, જમ્મુ કાશ્મીરના વતની અને ટેન્કરના ડ્રાઇવર સુદેશ નાનોરામ દિગરા, તેમજ રાજસ્થાનના જોધપુરના વતની ગેસ ટેન્કર ચાલક કરણસિંહ ચતુરસિંહ કે જે પાંચેયને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી ગેસ ભરેલા બે ટેન્કરો ઉપરાંત ગેસ રિફિંલીંગને લગતી સામગ્રી, એક મહિન્દ્રા પીકઅપ વેન, તેમજ ૫૬ નંગ કોમર્શિયલ ગેસના ખાલી- ભરેલા બાટલાઓ વગેરે મળી કુલ 74,31,898 લાખ ની માલ સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી. 

જે પાંચેય આરોપીઓ સામે પંચકોથી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે, અને તમામ સામે આઈપીસી કલમ ૨૮૫ અને ૧૧૪ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે

 એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડયો ત્યારે મુખ્ય સૂત્રધાર શેખપાટ ગામ નો વનરાજસિંહ સોઢા અને રાજકોટનો ભાણો નામનો શખ્સ કે જે બંને ભાગી છુટ્યા હોવાથી પોલીસે તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

- ખોજા બેરાજા ગામનો નામચીન શખ્સ ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરવા માટે ડ્રાઇવર ને 500 રૂપિયા આપતો હતો

- રાજકોટનો ભાણો નામનો વચેટિયો કે  ગેસની ચોરી કરવા અને રિફિલિંગ માટે માણસો પૂરા પાડતો હતો

જામનગરનસ ખીજડીયા બાયપાસ પાસેથી એલપીજી ભરેલા  ગેસ ટેન્કર માંથી ગેસ ચોરી નું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે, જેના મુખ્ય સૂત્રધાર અને વચેટિયા જે બે હાલ ફરાર થયા છે, તેઓ દ્વારા ગેસ ટેન્કર લઈને નીકળતા ડ્રાઈવરને શોધીને તેઓને એક બાટલાના ૫૦૦ રૂપિયામાં સોદો કરતા હોવાનું અને બજારમાં 1,500થી 2,000 રૂપિયામાં વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે ગેસ રીફિલિંગનું કારસ્તાન ચલાવતો શેખપાટ ગામનો વનરાજસિંહ સોઢા કે જે છેલ્લા કેટલાક મહિનાથી સક્રિય બન્યો હતો, અને બાયપાસ નજીકની જગ્યામાં ગેસ ટેન્કર ચાલકોને લઈ જઇ ત્યાંથી રીફિલિંગનું કારસ્તાન ચલાવી રહ્યા નું જાણવા મળ્યું છે.

તેણે જામનગરમાંથી કોમર્શિયલ ગેસના ૨૦ કિલોના સંખ્યામાં બાટલા એક્ત્ર કરી લીધા હતા, અને 500 રૂપિયા આપી તેમાંથી ગેસની ચોરી કરાવતો હતો.

જયારે ગેસ ની  ચોરીની કાર્યવાહીમાં રીફીલિંગની  કામગીરી કરનારા મદદગારોને એક દિવસના રોજના 700 રૂપિયા આપતો હતો, અને પોતે જામનગરની બજારમાં 1,500 રૂપિયામાં 20 કિલોના બાટલાનો વેચાણ કરી નાખતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જોકે હાલ બન્ને  મુખ્ય સૂત્રધાર ફરાર થયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવા આવી રહી છે. જે પકડાયા પછી વધુ કારસ્તાન બહાર આવે તેમ જાણવા મળી રહ્યું  છે.