જામનગર શહેરમાં રાત્રિ દરમિયાન સોડિયમ હાઇપો ફ્લોરાઈડનો સ્પ્રે કરાયો
- જામનગર જિલ્લાના તાલુકા મથકોએ પણ આવી કામગીરી કરવા તંત્રની સુચના
જામનગર, તા.31 માર્ચ 2020, મંગળવાર
જામનગર શહેરમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શહેરને કોરોના સંક્રમણથી બચવા માટેના જુદા જુદા પ્રયાસો થઈ રહ્યા છે. તેના ભાગરૂપે ખાનગી કંપની મારફતે મળેલા મશીન વડે ગઈ રાત્રિ દરમિયાન શહેરના દરબારગઢ સહિતના વિસ્તારોમાં ફાયરબ્રિગેડની મદદથી સોડિયમ હાઇપોકલોરાઈડના મિશ્રણનો સ્પ્રે કરવામાં આવ્યો હતો. અને સમગ્ર શહેરને કોરોનાવાયરસથી બચાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાનગી કંપનીઓની મદદથી મેળવાયેલા મશીન વડે ફાયર બ્રિગેડના જવાનોના સહકારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર સોડિયમ હાઇપોકલોરાઈડના મિશ્રણ સાથેના પ્રવાહીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જામનગર શહેરના દરબારગઢ સર્કલ, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારોમાં મોડી રાત્રિ દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર અને તેમની ટીમ દ્વારા મોડી રાત્રી સુધી આ કામગીરી હાથ ધરાઇ હતી.
જામનગર મહાનગરપાલિકાના એરીયા ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોળ, કાલાવડ લાલપુર વગેરે નગરપાલિકાઓના ચીફ ઓફિસર સાથેની પણ વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી અને નગરપાલિકા વિસ્તારમાં પણ સ્પ્રેનો છંટકાવ કરીને સમગ્ર જિલ્લામાં તાલુકા મથકોમાં પણ ડીશઇંફેકશનની કામગીરી કરવા માટેની સૂચના અપાઈ હતી. અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.