જામનગરથી શ્રમિકોને લઈને છઠ્ઠી ટ્રેન રવાના: 1200 પરપ્રાંતિય શ્રમિકોને ઉત્તરપ્રદેશના ગાઝીપુર ખાતે પહોંચાડાશે
જામનગર, તા. 11 મે 2020 સોમવાર
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસઅને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ દરેડ, જામનગર શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી આજે અંદાજે 1200 જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના ગાઝીપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ઉત્તરપ્રદેશ માટે છઠ્ઠી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ 5 ટ્રેનો શ્રમિકોને લઇને રવાના થઇ ચૂકી છે. જેમાં 4 ટ્રેનો ઉત્તરપ્રદેશ માટે અને 1 ટ્રેન બિહાર માટેની હતી.
ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.
આ ટ્રેનમાં કુલ 22 કોચ અને 1 આગળ તથા 1 પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.