જામનગર: ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં એક સાથે 50 ઘેટાના મૃત્યુ, તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો
- ધ્રોલના વનવિભાગ દ્વારા આસપાસના સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું: જંગલી જાનવરના ફૂટેજ મેળવવા તજવીજ
જામનગર, તા 3 જૂન 2021, ગુરૂવાર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં એકી સાથે 50 ઘેટાના મૃત્યુ નિપજતાં પશુપાલકોમાં ભારે દોડધામ થઇ હતી, અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફોરેસ્ટ વિભાગને જાણ થવાથી ધ્રોલ ફોરેસ્ટ વિભાગની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી, અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલીંગ શરૂ કર્યું છે. જ્યારે કોઈ જંગલી જાનવર પ્રવેશ્યું છે કે કેમ, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં રહેતા પુનાભાઈ ઝાપડાની માલિકીના એકી સાથે 50 ઘેટાના પરમ દિવસે સાંજે મૃત્યુ નિપજતાં ભારે દોડધામ થઇ હતી, અને માલધારી પરિવારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ મામલે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ધ્રોલ રેંજ ફોરેસ્ટ વિભાગની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આટલી મોટી સંખ્યામાં ઘેટાના કઈ રીતે મૃત્યુ થયા, તે તમામ પાસાઓ ચકાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સાથોસાથ કોઈ જંગલી જાનવર પ્રવેશ્યું છે કે કેમ, તે દિશામાં પણ તપાસના ચક્રોગતિમાન કરી સમગ્ર પંથક વિસ્તારમાં દીપડો અથવા તો અન્ય જરખ સહિતના જંગલી પ્રાણીઓની હાજરી છે કે કેમ, તેના ફૂટેજ મેળવવા માટે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વનવિભાગ ધ્રોલ ને મજોઠ ગામમાં 50 જેટલા ઘેટાંના મૃત્યુની માહિતી મળતાં ધ્રોલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તાત્કાલિક ઘટના સ્થળે તપાસ માટે મોકલતા,ત્યાં કોઈ જંગલી જાનવર દ્વારા મારણ કરાયાના કોઈ જ નિશાન મળેલા નથી. તેમજ આજુ બાજુ ક્યાંય જંગલી પ્રાણીના પગના નિશાન જોવા મળેલા નથી.
ઉપરોક્ત ઘેટાના મૃત્યુનું કારણ રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે.,હાલ વન વિભાગ દ્વારા સ્ટાફનું સઘન પેટ્રોલિંગ તે વિસ્તારમાં વધારી દેવાયું છે.