- લાઇટ વેઇટના ઘરેણાં તેમજ સોનાની ગીની અને ચાંદીના આભૂષણો ખરીદીને લોકોએ ઉત્સાહ જાળવ્યો
જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર
જામનગર શહેરની જનતા શોખીન પ્રિય તો છે જ ઉપરાંત શુકનવંતી ખરીદીમાં પણ વધુ આકર્ષિત રહે છે. જે મુજબ ગઈકાલે ગુરુપુષ્યામૃત યોગને અનુલક્ષીને સોના-ચાંદીના ઘરેણાં- આભૂષણો વગેરેની ખરીદી કરીને મુહૂર્ત સૂચવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન જામનગર શહેરના જ્વેલરી શોપમાં ખરીદી માટે આવનારા લોકોની ભીડ જોવા મળી હતી.
જામનગર શહેર માં ચાંદી બજાર વિસ્તારમાં અને સોના-ચાંદીના નાના-મોટા શોરૂમ આવેલા છે. તે ઉપરાંત જામનગર શહેરના ઈન્દિરા માર્ગ અંબર સિનેમા રોડ, ડી. કે.વી. રોડ, રણજીતનગર સહિતના અન્ય વિસ્તારોમાં પણ મોટા જ્વેલરી શોપ શરૂ થઈ ગયા છે, જે તમામ શોરૂમમાં સમગ્ર દિવસ દરમિયાન સોના ચાંદીના ઘરેણા તેમજ આભૂષણો ખરીદવા માટે લોકોએ ઉત્સાહ દાખવ્યો હતો. અને ગૃહિણીઓમાં ખરીદી માટે વધારે ઉત્સુકતા જોવા મળી હતી.
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે લોકો લાઈટ વેઇટના સોનાના ઘરેણા ખરીદવા માટે ઉત્સાહિત બન્યા હતા.આ ઉપરાંત સોનાની નાની ગીની, ચાંદીના સિક્કા તેમજ ભગવાનના ચાંદીના આભૂષણ વગેરેની ખરીદીમાં ઉત્સાહ દાખવ્યો હતો. જેથી સોના-ચાંદીના વેપારીઓના મન પણ મલકાયા હતા.


