જામનગર, તા. 02
જામનગર શહેર અને જિલ્લામાં નવા વર્ષના પ્રારંભની સાથે પણ ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો, પરંતુ તેમાં રવિવારે ઘટાડો નોંધાતાં રાહત અનુભવાઇ છે. ઠંડીનો પારો થોડો પરત ફર્યો છે, સાથોસાથ પવનની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીની ધ્રુજારીમાં રાહત થઇ છે. ઉપરાંત ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પ્રતિ કલાકના 4૦ કિમીની ઝડપે બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી શહેરીજનો અને પશુ પક્ષીઓ ઠૂંઠવાયા હતા ઉપરાંત ઠંડીનો પારો પણ ત્રણ ડિગ્રી નીચે સરકીને 15 ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. પ્રતિ કલાકના 4૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓ પણ ધ્રૂજી ઊઠયા હતા. જેમાં આજે રાહત જોવા મળી છે પવન ની તીવ્રતા ઘટીને 25 કિ.મી.ની થઈ છે જ્યારે ઠંડીનો પારો 16.5 ડિગ્રીએ સ્થિર થયો હોવાથી ઠંડક ભર્યા વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 2૦ કિ.મી.ની ઝડપે રહી હતી, જે વધીને 25 કિમી સુધી પહોંચી હતી.


