જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર
જામનગર-સચાણા હાઇવે પર જાંબુડા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનનો બચાવ થયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી લીધી છે.
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં ખાણ વિસ્તારમાં રહેતો જયેશ મનસુખ ભાઈ પરમાર નામનો 28 વર્ષનો યુવાન તેની સાથે જ રહેતા નસીમ જખરાને પોતાની મોટરસાયકલની પાછળની સીટમાં બેસાડીને નાઘેડીથી તરફ ઈલેક્ટ્રીકનું કામ કરવા માટે જઈ રહ્યો હતો, તે દરમિયાન જામનગર-સચાણા ધોરીમાર્ગ પર જાંબુડા ગામના પાટિયા પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકચાલક યુવાન જયેશ પરમાર ટ્રકના તોતિંગ વ્હીલ નીચે કચડાઇ ગયો હતો, અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું. જયારે તેનો મિત્ર નસીમ જખરા કેજે પાછળ ની સીટ પરથી ફંગોળાઇ ગયો હોવાથી કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, અને તેના ચમત્કારિક બચાવ થયો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


