Get The App

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારી પર હિચકારો હુમલો

Updated: Aug 30th, 2021

GS TEAM

Google News
Google News
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારી પર હિચકારો હુમલો 1 - image

- વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટરના પુત્ર અને તેના ચાર સાગરીતોએ હુમલો કર્યાની ફરિયાદ

જામનગર,તા.30 ઓગસ્ટ 2021,સોમવાર

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારી ઉપર વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટરના પુત્ર અને તેના સાગરીતોએ ઈંટ અને મૂઠ વડે હિચકારો હુમલો કરી દેતાં પોલીસ કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, સીટી બી. ડિવિઝન પોલીસે કોર્પોરેટરના પુત્ર સહિત પાંચ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં શેરી નંબર બી-7 માં રહેતા અને જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા કે જેઓ ગઈકાલે સાંજે પોતાની ફરજ પૂરી કરીને ઘેર ગયા હતા, અને તબિયત સારી ન હોવાથી દવા લેવા માટે પોતાના મોટરસાયકલ પર બેસીને જી.જી.હોસ્પિટલે જઈ રહ્યા હતા.

જે દરમિયાન મોડી સાંજે નવાગામ ઇન્દિરા સોસાયટીમાં રીક્ષા સ્ટેન્ડ પાસે પોતે ધીમુ બાઈક ચલાવી રહ્યા હતા, દરમિયાન પાછળથી ભાજપના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કેશુભાઈ માડમના પુત્ર આશિષ માડમ તેના એક સાગરિત સાથે પાછળથી આવ્યા હતા, અને વાહન ધીમું ચલાવવા અને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી કર્યા પછી આશિષ માડમે ઈંટ ઉપાડીને પોલીસ કર્મચારીના માથાના ભાગે ઝીંકી દીધી હતી. ઉપરાંત તેની સાથે રહેલા અન્ય એક શખ્સે મુઠ વડે હુમલો કરી દીધો હતો.

ઉપરાંત અન્ય ત્રણ સાગરીતો પણ આવી ગયા હતા, અને પોલીસ કર્મચારીને આડેધડ માર માર્યો હતો. જેથી ઈજા થવાના કારણે મનહરસિંહ ઝાલાને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. આ બનાવને લઈને પોલીસ બેડામાં દોડધામ થઇ હતી.

સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એસ.એમ. રાદડિયાએ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી મનહર સિંહ ઝાલાની ફરિયાદના આધારે ભાજપના કોર્પોરેટર કેશુભાઈ માડમના પુત્ર આશિષ માડમ અને તેના અન્ય ચાર અજાણ્યા સાગરિતો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506-2,143,147, તેમજ જી.પી.એક્ટ કલમ 135-1 મુજબ ગુનો નોંધી કોર્પોરેટરના પુત્ર સહિત તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.