Gujarat

જામનગરના ત્રણ યુવાનોનું અપહરણ કરવા અંગે પકડાયેલા કાનપુરના શખ્સનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતાં ધરપકડ કરાઇ

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
જામનગરના ત્રણ યુવાનોનું અપહરણ કરવા અંગે પકડાયેલા કાનપુરના શખ્સનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવતાં ધરપકડ કરાઇ

જામનગરના ત્રણેય યુવાનોને મારકૂટ કરાઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ત્રણેયની તબીબી ચકાસણી કરાવાઈ

જામનગર તા ૩, 

જામનગરના ત્રણ યુવાનો કે જેઓ ઉત્તર પ્રદેશ ફરવા ગયા પછી ત્રણેય ને ગોંધી રાખી તેના પરિવાર પાસેથી ખંડણી મેળવવા માટે ના કિસ્સામાં જામનગર પોલીસે સતર્કતા દાખવીને ત્રણેયને મુક્ત કરાવી લીધા પછી ત્રણેયનું અપહરણ કરનાર શખ્સને પકડી લેવાયો હતો. જેને જામનગર લઈ આવ્યા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે, અને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયો છે.આ ઉપરાંત ત્રણેય યુવાનોને કાનપુરમાં માર મારવામાં આવ્યો હોવાથી ત્રણેયની જામનગરની જી જી હોસ્પિટલમાં મેડિકલ તપાસણી કરવામાં આવી છે, અને પ્રાથમિક સારવાર આપી ઘેર જવા દેવાયા છે.

 જામનગર થી ઉત્તર પ્રદેશ ફરવા માટે ગયેલા જામનગરના ત્રણ યુવાનો કેયુર હરીશભાઇ હાડા, હિરલ નરેશભાઈ હાડા, અને રમેશભાઈ પઢીયાર કે જેઓનું કાનપુરમાં અપહરણ કરી લેવાયું હતું અને એક સ્થળે ગોંધી રાખી તેઓ પાસેથી ૨૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી.

 જેમાં એક યુવાન ના પત્ની ને ખંડણીની માહિતી મળી હોવાથી તેણે તુરતજ જામનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગર પોલીસે કુનેહતા દાખવી કાનપુર પહોંચી જઈ ત્રણેય યુવાનોને છોડાવી દીધા હતા, અને તેઓનું અપહરણ કરનાર ઉત્તર પ્રદેશના ભગવાનસિંહ અર્જુન સિંહ ચૌહાણ ઉર્ફે ભગવાન ચાચા ને દબોચી લીધો હતો.

 જેને  જામનગર લઈ આવ્યા પછી તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો  રિપોર્ટ નેગેટીવ આવતાં ધરપકડ કરી લેવામાં આવી છે, અને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાયો છે.

આ ઉપરાંત જામનગર ના ત્રણેય યુવાનો કે જેઓને કાનપુરમાં માર મારવામાં આવ્યો હોવાથી પોલીસ દ્વારા ત્રણેય યુવાનોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીબી ચકાસણી માટે લઈ જવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર આપ્યા પછી ઘેર જવા દેવામાં આવ્યા છે.

 પોલીસ આ અપહરણકાંડમાં હજુ બેથી વધુ શખ્સોની સંડોવણી હોવાની માહિતીના આધારે તપાસનો દોર કાનપુર તરફ લંબાવી રહી છે, અને નજીકના ભવિષ્યમાં આ પ્રકરણમાં વધુ આરોપીઓ પકડાય તેમ મનાઇ રહ્યું છે.