-પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધ્યો: બન્નેની અટકાયત
જામનગર તા 21 માર્ચ 2022
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા એક દલિત યુવાને પોતાના જ ગામના બે માથાભારે શખ્સોના ત્રાસના કારણે ટ્રેન હેઠળ પડતું મુકી દઇ ધુળેટીના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે રેલવે પોલીસે બંને માથાભારે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે પંચકોશી એ. ડીવીઝન પોલીસે બંને આરોપીઓને પકડી લઈ રેલવે પોલીસને સુપરત કરી દીધા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા નીતિનભાઈ જયંતીભાઈ પરમાર નામના દલિત યુવાને ધૂળેટીના તહેવાર ના દિવસે જામવંથલી રેલવે સ્ટેશન નજીકની રેલવે લાઈન પર એક ટ્રેન હેઠળ પડતું મુકી દઈ આત્મહત્યા કરી લીધી હતી, અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં પોતાના જ ગામના માથાભારે શખ્સોના ત્રાસના કારણે જ તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.
જેથી રેલવે પોલીસ દ્વારા નીતિનભાઈ પરમાર ને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા અંગે ઉપરાંત દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે જામવણથલી ગામના માથાભારે શખ્સો કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા, અને મયુરસિંહ ભરતસિંહ જાડેજા સામે એસ્ટ્રોસીટી એક્ટ ની કલમ તેમજ આપઘાત કરવા માટે મજબૂર કરવા અંગેની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે.
દરમિયાન પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉપરાંત ઉપરોક્ત બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૬૫ હજારની કિંમતના ૨ મોબાઈલ ફોન કબ્જે કરી લીધા હતા, અને રેલવે પોલીસને સુપરત કરી દેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન નીતિનભાઈ ને અગાઉ બંને આરોપીઓ સાથે તકરાર થઇ હતી, અને નીતિનભાઈએ આજથી દોઢ વર્ષ પહેલા બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનું મનદુખ રાખી ને બંને આરોપીઓ અવારનવાર ત્રાસ ગુજારતા હતા. જેઓ ના ત્રાસથી કંટાળી જઇ નીતિનભાઈએ ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ ચલાવે છે.


