Gujarat

જામનગર જિલ્લામાં કોરોના રાજ્યકક્ષાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યો: ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા

By GS Team
24 Jan 20222 mins read
This article was originally published on 24 Jan 2022
જામનગર જિલ્લામાં કોરોના રાજ્યકક્ષાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યો: ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા

- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ પણ કોરોના સંક્રમિત થયા

જામનગર, તા. 24

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ફૂફાડો આગળ વધતો જાય છે, અને કેટલાક રાજકીય આગેવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં આજે જામનગર જિલ્લાના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા ૩૦ થી વધુ આરોગ્ય કર્મીઓ પણ કોરોના સંક્રમિત બની ગયા છે. જે તમામને હોમ આઇસોલેટ કરાયા છે.

જામનગર શહેર અને જિલ્લાના અનેક રાજકીય અગ્રણીઓ, વેપારી આગેવાનો, તથા સરકારી અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે, જેમાં આજે એક વધુ નામ ઉમેરાયું છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ પણ આજે કોરોના સંક્રમિત થઈ ગયા છે, અને તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે, અને પોતાના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિએ કોવિડ પરીક્ષણ કરાવી લેવા અનુરોધ કર્યો છે. જોકે તેઓની તબિયત સારી છે અને હોમ આઇસોલેટ થયા છે.

આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં પ્રથમ માળે અને સાતમા માળે કોરોનાના અલગ અલગ વોર્ડ ખોલવામાં આવ્યા છે, અને તેમાં 24 કલાક દરમિયાન તબીબો તથા અન્ય આરોગ્ય કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. જે પૈકીના ત્રીજી લહેર દરમિયાન ૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે.

જોકે તમામ સંક્રમિત આરોગ્ય કર્મીઓને હોમ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે, અને તેઓની તબિયત સારી છે. ત્રીજી લહેરમાં આરોગ્ય કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી જતા હોવાથી તબીબો સહિતની ટીમે પણ સાવચેતી રાખવી પડી રહી છે.