જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા હંગામી ધોરણે ફટાકડા વેચાણ માટે અન્યત્ર મંજૂરી અપાશે નહીં
- શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ સહિત ત્રણ સ્થળોએ ફટાકડા બજાર ઉભી કરવા માટે અરજીઓ મંગાવાઇ
જામનગર, તા. 14 ઓગસ્ટ 2020, બુધવાર
જામનગર શહેરમાં આગામી દિવાળીના તહેવારને લઈને ફટાકડાના વેચાણ માટે જુદી જુદી જગ્યાએ સવાસો જેટલી હંગામી ફટાકડા વેચાણની મંજૂરી અપાય છે, તે આ વખતે કોરોનાની મહામારી ને લઈને મંજૂરીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, અને શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના જુદા-જુદા ત્રણ ગ્રાઉન્ડમાં ફટાકડા બજારો ઊભી કરવા માટેનું વહીવટી તંત્ર દ્વારા નકકી કરાયું છે. તેના માટેની અરજીઓ માંગવામાં આવી છે.
જામનગર શહેરમાં કોરોનાની મહામારી લઈને અનેક તહેવારો સહિતના આયોજનો મુલતવી રાખવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેરી વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તેના ભાગરૂપે પ્રતિવર્ષ હંગામી ફટાકડા વેચાણ સ્ટોલ માટેની અપાતી મંજૂરી મુલતવી રાખવામાં આવી છે.
ગત વર્ષે 120થી વધુ હંગામી ફટાકડાના વેચાણના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેની આ વખતે મંજૂરી આપવામાં આવી નથી, અને જામનગર શહેરના જુદાજુદા ત્રણ સ્થળોએ ફટાકડા બજાર ઉભી કરવા માટેનું તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ફટાકડા બજાર ઊભી કરવામાં આવે છે, તે સ્થળ ઊપરાંત પટેલ કોલોની ગાંધીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલા બ્રુકબોન્ડ મેદાન ઉપર ઉપરાંત નાગેશ્વર તરફ જવાના માર્ગે રંગમતી નદીના મેદાનમાં ફટાકડા બજાર ઊભી કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે ત્રણેય જગ્યાએ હંગામી ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે ની અરજીઓ માંગવામાં આવી છે. અને આગામી 26 તારીખ સુધીમાં અરજદારોએ જામનગર શહેર વિભાગની મામલતદાર ની કચેરીમાં નિયત નમુના ફોર્મ ભરી જવા તાકીદ કરાઈ છે. ત્યાર પછી અન્ય કોઈ ફટાકડાના વિક્રેતાઓને મંજૂરી અપાશે નહીં.