જામનગરમાં લોકો ખરીદી માટે નીકળી પડતા ભીડથી અફડાતફડીનો માહોલ
- લોકડાઉન-4ની છૂટછાટ મળતા ઉમટયું માનવ મેરામણ
- શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિકથી ચક્કાજામઃ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરે નિયમોની ઐસી કી તૈસી
જામનગર, તા.19 મે 2020, મંગળવાર
જામનગર શહેર અને જિલ્લામાં આજે લોકડાઉન -૪ દરમિયાન વેપાર-ધંધા શરૂ કરવા માટેની છૂટછાટ અપાતાની સાથે શહેરની મોટાભાગની બજારો ખુલી ગઇ છે. એટલું જ માત્ર નહીં લોકોએ ખરીદી કરવા માટે પણ એટલી જ ભીડ જમાવી દીધી છે. ચોતરફ લોકો ખરીદી માટે નીકળી પડતા શહેરમાં અનેક સ્થળોએ ચક્કાજામ થઈ ગયો છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સ નું ભાન ભૂલીને ઉતરી પડતા અત્યંત ચિંતાજનક માહોલ બની ગયો છે.
જામનગર શહેરમાં આજે સવારે લોકડાઉન ચારની અમલવારી પાસે વેપાર-ધંધા શરૂ કરવા માટેની છૂટછાટ અપાશે શહેરીજનો મોટી સંખ્યામાં બહાર નીકળી પડયા હતા. સવારે આઠ વાગ્યાથી જ તમામ પ્રકારની દુકાનો ખુલી ગઈ હતી. ઓડ-ઇવનની ફોર્મ્યુલા જાહેર થાય તે પહેલાં જ તમામ વેપારીઓએ પોતાની દુકાનો અને વેપાર-ધંધા શરૂ કરી દીધા હતા. એટલું જ માત્ર નહીં લોકોએ પણ ખરીદી કરવા માટે ચોતરફ ભીડ લગાવી દિધી હતી.
શહેરમાં અનાજ કરીયાણાની દુકાનો ઉપરાંત કપડા, કટલેરી, હોજીયરી, બુટ-ચપ્પલ સહિતની તમામ ચીજવસ્તુઓની દુકાનો ખૂલી ગઇ હતી. મીઠાઈ ફરસાણના વેપારી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના વિક્રેતાઓએ પોતાના વેપાર-ધંધા સવારથી ચાલુ કરી દીધા હતા. જ્યાં તમામ સ્થળોએ ખરીદવા માટે શરૂઆતના એકાદ કલાક સુધી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું.
પરંતુ દસ વાગ્યા પછીથી બાજી સંપૂર્ણપણે બગડી ગઈ હતી અને અનેક સ્થળોએ લોકો ટોળાંના સ્વરૂપે એકત્ર થઇ ગયેલા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સની કોઈપણ પ્રકારની દરકાર કર્યા વિના લોકો ભીડ જમાવી ને એકત્ર થયા હતા. જામનગરના ત્રણ બત્તીથી લઈને શાક માર્કેટ માર્કેટ સુધીના રણજીત રોડના માર્ગ વિસ્તાર, સુપર માર્કેટનો એરીયો વગેરે મુખ્ય બજારમાં એકી સાથે લોકો પોતાનાં વાહનો સાથે ઉમટી પડયા હતા.
રિક્ષાચાલકો પણ પોતાની રિક્ષા સાથે ધસી આવ્યા હતા જેથી સંપૂર્ણપણે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્ર પણ લોકોને સમજાવવા માટે ના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેના અથાગ પ્રયત્નો કર્યો હતો. પરંતુ લોકોએ કોઈપણ પ્રકારની દરકાર કર્યા વિના ભીડ લગાવી દઈ ચક્કાજામ સર્જી દીધો હતો.
બેડી ગેઇટ આસપાસના વિસ્તાર સિવાય પણ શહેરના અનેક વિસ્તારોમાં લોકો આ જ રીતે ખરીદી કરવાના ભાગરૂપે નીકળી પડયા હતા, જેના કારણે ઠેરઠેર સોશિયલ ડિસ્ટન્સની ધજીયા ઉડી હોવાનું નજરે પડતું હતું. આ શ્ય જોઈને જામનગર જિલ્લાના વહીવટી તંત્રની ચિંતામા ખૂબ જ વધારો થયો છે અને તંત્ર દ્વારા લોકોને સંયમ જાળવવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.