જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર
સમગ્ર ગુજરાતમાં હવામાન પલટાયું છે, જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ મોસમે કરવટ બદલી છે, અને ભરશિયાળે ચોમાસાનો માહોલ બની ગયો છે. ત્યારે ગઈકાલ સુધી સ્વેટરમાં ફરનારા લોકોએ આજે રેઇનકોટ પહેરવાનો વારો આવ્યો છે.

જામનગર શહેરમાં મોડીરાત્રીના શરૂ થઈ ગયેલા ધીમીધારે વરસાદ પછી સમયાંતરે વરસાદી ઝાપટાં વરસી રહ્યા હતા, દરમિયાન આજે સવારે જનજીવન ધબકતું થયું, ત્યારે લોકોને પોતાના કામ માટે અવરજવરમાં સ્વેટર ને બદલે રેઈનકોટ ની જરૂરિયાત ઊભી થઈ હતી અને દિવાળી પહેલાં અભેરાઈ પર મુકવામાં આવેલા રેઇનકોટ ને આજે નીચે ઉતારીને કેટલાક નાગરિકો રેઇનકોટ પહેરેલા જોવા મળ્યા હતા. ભર શિયાળે ચોમાસું બંધાયું છે, તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.



