જામનગરમાં જાહેરનામાનો ભંગ કરી દુકાન ચાલુ રાખનારા ચાર વેપારીઓ દંડાયા
જામનગર, તા. 23 માર્ચ 2020, સોમવાર
જામનગર શહેરમાં જિલ્લા કલેકટરના જાહેરનામાની 144મી કલમની અમલવારી ચાલુ રહી છે જે દરમિયાન જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાર દુકાનદાર એ પોતાની દુકાન ચાલુ રાખીને તેમાંથી મીઠાઈ ફરસાણ વગેરેનું વેચાણ કરતા હોવાથી ચારેય દુકાનો બંધ કરાવી તેઓ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યા છે.
જામનગરમાં જોગસ પાર્ક નજીક આવેલી રાજ લક્ષ્મી બેકરીમાં જાહેરનામાં દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી પોલીસે દુકાન બંધ કરાવી. દુકાનના સંચાલક મનોજભાઈ રાજપાલભાઈ ખેતવાણી સામે જિલ્લા સમાહર્તાના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત મદ્રાસ હોટલની સામે ટેસ્ટ એન્ડ ટેઇલ રેસ્ટોરન્ટ નામની દુકાન ચાલુ રાખવા બદલ ઘનશ્યામભાઈ સનાભાઇ પરમાર સામે પણ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. અંબર સિનેમા સામે આવેલી યમિઝ બેકરી પણ ખુલ્લી રાખવા બદલ તેના સંચાલક મુસ્તાકભાઈ ઓસ્માણભાઈ કાસવાણી સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો છે.
જ્યારે જામનગરમાં બેડી નાકા પાસે આવેલી પટેલ પેંડાવાળા નામની દુકાન પણ ચાલુ હોવાથી તેના સંચાલક સંદીપભાઈ ભવનભાઈ પીપળીયા સામે કલમ 188ના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.