જામનગરના પાંચ વિસ્તારો, મસીતીયા તથા ચેલા એસ.આર.પી. કેમ્પસ સેક્ટર સીલ
- કોરોના પોઝીટીવ કેસના પગલે કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરી
- દવા અને દૂધ સિવાયની તમામ ચીજવસ્તુઓના વેચાણ ઉપર તથા લોકોની અવરજવર ઉપર મૂકાયો પ્રતિબંધ
જામનગર, તા.08 મે 2020, શુક્રવાર
જામનગર શહેરના ઘાંચીવાડ, અકબરશા ચોક સહિતના વિસ્તારમાંથી જુદી જુદી ચાર મહિલાઓના કોરોનાવાયરસના પોઝિટિવ કેસ મળ્યા હોવાથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા શહેરના અલગ અલગ પાંચ વિસ્તારોને ઉપરાંત ચેલા ગામના એસ.આર.પી.કેમ્પ ના એરિયાને અને મસીતીયા ગામ તળ ને કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોરોનાનો વિસ્ફોટ થયો છે અને જામનગર જિલ્લામાં આઠ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જામનગરના ઘાંચીવાડ સહિતના અલગ અલગ પાંચ વિસ્તારો અકબરશા ચોક, રંગૂનવાલા હોસ્પિટલ, ખોજા નાકા અને લીંડી બજાર પાછળનો વિસ્તાર વગેરેને કોરોનાવાયરસ કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલા એસઆરપીના કેમ્પના વિસ્તારને તેમજ મસીતીયા ગામ તળ વિસ્તારને પણ કોરોના કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિસ્તારમાં આવશ્યક ચીજ-વસ્તુઓ જેવી કે દવાઓ અને દૂધ તેમજ તબીબી સેવાઓ સિવાયની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલવારી ચાલુ રહેશે.
ઘાંચીવાડ સહિતના વિસ્તારોમાં સેનિટાઈઝેશનની કામગીરી
જામનગર શહેરના ઘાંચીવાડ તેમજ અન્ય આસપાસના વિસ્તારોને જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા પછી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાત્રેથી જ સમગ્ર એરિયાને સેનીટાઇઝડ કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. ખુદ મ્યુનિ.કમિશનર જાતે જ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા અને સફાઈ અને આરોગ્યની કામગીરીનો પ્રારંભ કરાવી દીધો હતો.
૭૦થી વધુ આરોગ્યની ટુકડીઓ ઘરે-ઘરે સર્વે કરી રહી છે. ઉપરાંત સફાઈ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને યોગ્ય સાફ સફાઈ થાય તે માટે અલગ-અલગ ટીમો ને કાર્યરત કરી દેવામાં આવી છે. જે મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે મહિલાના રહેણાંક મકાન અને આસપાસના સમગ્ર વિસ્તારને સેનીટાઈઝડ કરવામાં આવી રહ્યો છે.