જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ફાયર બ્રિગેડની બે કલાક બાદ આગ કાબુમાં
Updated: Mar 22nd, 2024
- ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરો વડે સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર
જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના એક વાડામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરની મદદથી ભારે જહમત બાદ આગને કાબુમા લીધી હતી.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેરી નંબર બે ના ઢાળીયા પાસે મયુરભાઈ કિશનભાઇ પરમાર તેમજ ધર્મેન્દ્રભાઈ વાઘેલા નામના બે પાર્ટનરની માલિકીનો ભંગારનો વાડો આવેલો છે. જેમાં વહેલી સવારે 6.00 વાગ્યા આસપાસ અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ભંગારના વાડામાં પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગની ટુકડી જુદા જુદા ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, અને પાણીના ત્રણ ટેન્કરની મદદથી સતત બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.