જામનગર મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી 180 મિલકતધારકોને વેરો ભરવાની અંતિમ નોટિસ
- ચાર દિવસ દરમિયાન બાકી વેરો ભરવામાં નહીં આવે તો મિલકતની કરાશે, જાહેરમાં હરાજી
- અન્ય સાડા ત્રણસો મિલ્કત ધારકોને પણ તાકીદે વેરો ભરવા માટે આખરી નોટિસ આપવા માટેની કાર્યવાહી
જામનગર, તા. 04 ઓક્ટોબર 2020 રવિવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી મિલકત પૈકી 180 મિલકતધારકોને તેમની બાકી રોકાતી 1.15 કરોડની વેરાની રકમ ભરી જવા માટેની આખરી નોટિસ આપવામાં આવી છે, ચાર દિવસ દરમિયાન બાકી વેરો નહીં ભરાય તો તમામ મિલકતોની જાહેરમાં હરરાજી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે.
આ ઉપરાંત સાડા ત્રણસોથી વધુ મિલકત ધારકો પાસે પણ પોણા ત્રણ કરોડ જેટલી વેરાની રકમ બાકી છે. જે તમામને પણ નોટિસ પાઠવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ દરમિયાન મિલકત વેરો નહીં ભરનારા આસામીઓની 1800 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતી. જે પૈકી 530 આસામીઓ સિવાય બાકી ના મિલકત ધારકોએ અંદાજે સાડા છ કરોડ જેટલી બાકી રોકાતી વેરાની રકમ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દીધી હતી.
પરંતુ 180 મિલકત ધારકો કે જે તમામ કોમર્શિયલ બાંધકામનો છે તે આસામીઓને પોતાની બાકી રોકાતી એક કરોડ 15 લાખની વેરાની રકમ ચાર દિવસ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની કચેરી માં ભરી જવા માટેની આખરી નોટિસ પાઠવી દેવામાં આવી છે.
આગામી આઠ તારીખ સુધીમાં ઉપરોક્ત આસામીઓ દ્વારા પોતાનો બાકી રોકાતો વેરો ભરપાઇ કરવામાં નહીં આવે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતોની જાહેરમાં હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને હરરાજી ના માધ્યમથી બાકી વેરાની વસૂલાત કરી લેવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય સાડા ત્રણસો જેટલા આસામીઓ કે જેઓની અંદાજે પોણા ત્રણ કરોડની મિલકત વેરાની રકમ ભરપાઈ કરવાની બાકી છે. તે તમામને પણ આખરી નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં તેઓને પણ આખરી નોટિસ પાઠવવામાં આવશે. જેઓને અંતિમ તક આપવામાં આવી છે. જેઓ આ સમય ગાળા દરમિયાન પૈસા નહીં ભરે તો તે તમામ મિલકતોની પણ જાહેરમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.