જામનગર, તા. 12
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામ માં રહેતા અને ખેતીકામ કરતા એક ખેડૂતે આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા હસમુખભાઈ પ્રાગજીભાઈ વેકરીયા નામના પચાસ વર્ષના ખેડૂતે ગત 7મી તારીખે પીઠડીયા ગામના સ્મશાન પાસે જઈને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, આથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી ભરતકુમાર જમનાદાસ વેકરીયા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે જી. જી. હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં મૃતક ખેડૂતે આર્થિક સંકળામણ ના કારણે આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


