Get The App

જામનગર: જોડીયામાં 62 વર્ષ થયા પંચાયતી રાજ પછી પણ પાણીના પ્રશ્ને પ્રજાની કમનશિબી

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
જામનગર: જોડીયામાં 62 વર્ષ થયા પંચાયતી રાજ પછી પણ પાણીના પ્રશ્ને પ્રજાની કમનશિબી 1 - image

- પંચાયતી રાજના છ દાયકાઓ પછી પણ પ્રજાને સપ્તાહમાં એક વાર અને તે પણ ડહોળું પાણી વિતરણ

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર જિલ્લાના જોડીયામાં છેલ્લા 62 વર્ષથી પંચાયતી રાજ ચાલુ છે, પરંતુ જોડીયા ની પ્રજાની કમનસીબી એ છે કે, છ દાયકાઓ પૂરા થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી જોડીયા ટાઉનને સપ્તાહ માત્ર એક દિવસ અને તે પણ એકદમ ડહોળું પાણી વિતરણ થઈ રહ્યું છે. ચૂંટણી સમયના ઠાલા વચનોનો ભાર ઝીલતી જોડિયાની પ્રજા દૈનિક અને શુદ્ધ પાણીને ઝંખી રહી છે.

જામનગર જિલ્લાના જોડિયામાં છેલ્લા 62 વર્ષથી પંચાયતીરાજની સ્થાપના થઈ છે, અને જોડીયાની ગ્રામ પંચાયત દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, પરંતુ જોડિયાની પ્રજાની કમનસીબી એ છે, કે છેલ્લા છ દાયકામાં પંચાયતના કોઈપણ શાસકોએ પ્રજાને સ્વચ્છ અને દૈનિક પીવાનું પાણી આપી શક્યા નથી. જોડીયા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં આજ સુધી પ્રજાને એક પણ દિવસ દૈનિક ધોરણે પાણી મળ્યું નથી, અને મળે છે તો આઠ-દસ દિવસે એકાદ વાર! અને તે પણ ઊંડ ડેમનું ડહોળું, કે જે લોકોને પીવા માટે યોગ્ય નથી. તેમ છતાં પણ પંચાયત દ્વારા ડેમનું ડહોળું પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

જોકે જોડીયાની ગ્રામ પંચાયત વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આવા સંજોગોમાં ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરી શક્યું નથી. ખાસ કરીને ઉનાળામાં પાણીની અછત હોય છે તેવા સમયે પાણી પુરવઠા નિગમ દ્વારા માત્ર અમુક સમય માટે નર્મદાનું પાણી કટકે કટકે આપવામાં આવે છે. જે માટે નર્મદાનો જથ્થો ઓછો પડતો હોય છે.

પંચાયત દ્વારા ડહોળું પાણી વિતરણ સામે જોડીયાની પ્રજા અને સરકારી તંત્ર મૌન ધારણ કરીને બેઠા છે. ચૂંટણીના સમયમાં રાજકીય નેતાઓ જોડીયાને દૈનિક પાણી અને સ્વચ્છ પાણી આપવાના માત્ર વાયદાઓ કરે છે, પરંતુ છ દાયકા વીતી ગયા છતાં હજુ સુધી તેમાં કોઈ બદલાવ આવ્યો નથી, અને જોડીયાની પ્રજા દૈનિક તેમજ સ્વચ્છ પાણીને ઝંખી રહી છે.