જામનગર તા,12 માર્ચ 2022
જામનગર મહાનગરપાલિકા દ્વારા પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, અને ઢોર પકડવાની કામગીરી દરમિયાન નાસભાગ થઈ હતી. કેટલાક ઠંડા પીણા ગોલા નાસ્તો કરવા આવેલા ગ્રાહકો માં પણ ભારે દોડધામ થઇ હતી, આખરે અડધી રાત્રે ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ રખાઇ હતી.
જામનગર શહેરમાં વધી ગયેલા ઢોરોના ત્રાસના કારણે મ્યુનિ.કમિશનરના આદેશને લઈને ઢોર પકડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન ગઇકાલે રાત્રીના 11 વાગ્યા પછી પંચેશ્વર ટાવર આસપાસના વિસ્તારમાં ગાયો એકત્ર થઇ હોવાનું જાણવા મળતાં સોલિડવેસ્ટ શાખાની 16 જેટલા કર્મચારીઓની ટુકડી ઢોર પકડવા માટે પહોંચી હતી, અને કેટલાક ઢોરને દોરડાથી બાંધ્યા હતા, આ સમય ભારે દોડધામ થઇ હતી.
ઉપરોક્ત વિસ્તારમાં કેટલીક નાસ્તાની લારી વગેરેમાં લોકો ઠંડા પીણા, ગોલા વગેરે ખાવા માટે એકત્ર થયા હતા, તેઓને પણ ભાગવાનો વારો આવ્યો હતો. અને દેકારો મચી ગયો હતો.
આખરે મહાનગરપાલિકા ની ટીમે થોડા સમય માટે ઢોર પકડવાની ઝુંબેશ ને અટકાવી રાખી હતી, અને ત્યાર પછી રાત્રિના અઢી વાગ્યે ફરીથી ઝુંબેશ શરૂ કરાઇ હતી અને 19 જેટલા ઢોરને પકડીને રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મુકી દેવામાં આવ્યા છે. ઉપરાંત પબ્લિક ની અવરજવર ઓછી થાય તે સમયે રઝળતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.


