જામનગર, તા. 24
જામનગર શહેરમાં આજે સવારે કોરોના ઘાતક બન્યો છે, અને સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે, જેના કારણે શહેરમાં કોરોનાના મામલે ભયનો માહોલ સર્જાયો છે.
જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 જૂની ડેન્ટલ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા અરુણાબેન દિલીપભાઇ ત્રિવેદી નામના 70 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓને કોરોનાની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે, અને કોરોનાની ગાઈડલાઈન મુજબ અગ્નિ સંસ્કાર આપવા માટેની વ્યવસ્થા કરાઈ છે.
આ ઉપરાંત જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હીરીબેન માવજીભાઈ ચોવટિયા નામના 72 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓએ પણ આજે સવારે જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જેઓના મૃતદેહની મોક્ષ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલ મુજબ ગાંધીનગરના સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે.
આજે સવારે એકીસાથે કોરોનાગ્રત બે મહિલા દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં કોરોના થી કુલ પાંચ દર્દીઓના મૃત્યુને લઈને ભારે ફફડાટ મચી ગયો છે.


