જામજોધપુરના ધ્રાફા ગામની પરણીતાને સુરેન્દ્રનગરમાં રહેતા પતિએ ત્રાસ ગુજારી હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી એક પરણીતાને તેણીના પતિએ બિમારીના કારણે કામ થઈ શકતું ન હોવાથી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી કોમલબા પૃથ્વીરાજસિંહ જાડેજા નામની 35 વર્ષની યુવતી કે જેના લગ્ન આજથી સાત વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં રહેતા હરદીપસિંહ વિક્રમસિંહ પરમાર સાથે થયા હતા. દરમિયાન કોમલબાને મગજમાં મસાની તકલીફ થઈ જતાં અમદાવાદ ઓપરેશન કરાવવું પડ્યું હતું, અને હાલ તેની દવા ચાલી રહી છે.
દરમિયાન પોતે ઘરકામ કરી શકતા ન હોવાથી પતિ હરદીપસિંહ પરમાર દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી હતી. તેણી માવતરે આવી ગયા પછી શેઠ વડાળા પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ હરદીપસિંહ પરમાર સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.