જામનગરમાં લોકડાઉન દરમિયાન પાનની દુકાન ખોલનારા બે વિક્રેતાઓ સામે ફરિયાદ
- ઘરમાંથી બહાર નીકળનારા વધુ 66 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુના નોંધાયા
જામનગર, તા.31 માર્ચ 2020, મંગળવાર
જામનગર શહેરમાં લોકડાઉન દરમિયાન વધુ બે પાનના વિક્રેતાઓએ પોતાની પાનની દુકાન ખુલ્લી રાખતાં તેઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત શહેરના જુદા-જુદા 11 જેટલા વિસ્તારોમાંથી લોકડાઉન દરમિયાન પોતાના ઘરની બહાર નીકળી ટોળા સ્વરૂપે એકત્ર થયેલા 66 લોકોને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. અને તેઓ સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલના ગુના નોંધવામાં આવ્યા છે.
જામનગરમાં અનુપમ સિનેમા સામે આવેલી એક પાનની દુકાન લોકડાઉન દરમિયાન ખુલ્લી રાખનાર પાન મસાલાના વેપારી હરીશ કામદારને પોલીસે અટકાયતમાં લઇ લીધો છે. અને તેની દુકાન બંધ કરાવી તેની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત આવાસ કોલોની વિસ્તારમાં પાનની દુકાન ખુલ્લી રાખનારા સમીર હારૂનભાઇ નામના શખ્સને પણ પોલીસે પકડી પાડયો છે, અને તેની પાનની દુકાન બંધ કરાવી તેની સામે પણ ગુનો નોંધ્યો છે અને ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં ચાલી રહ્યું છે. અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં લોકો બહાર નીકળેલા જોવા મળી રહ્યા છે. અને ટોળા સ્વરૂપે એકત્ર થઇ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને કુલ 66 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે. અને તેઓ સામે જુદા જુદા પોલીસ મથકોમાં 11 જેટલી ફરિયાદ નોંધી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ના ગુના નોંધવામાં આવ્યા છે.
આજે પણ જામનગર શહેરમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.