જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-11 માં ગુલાબ નગર સહિતના વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને નુકસાની થઈ હતી, જે પૈકી એક પણ પરિવારને સહાય નહીં મળતાં મ્યુનિ. કમિશનર, મેયર, તેમ જ સીટી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ગુલાબનગર સહિતના આસપાસના વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ભારે નુકસાની થઈ હતી. જેની સહાય ચૂકવવા માટે ની મુખ્યમંત્રીની જાહેરાત થયા પછી આજે છ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં એક પણ પરિવારને સહાય ચુકવવામાં આવી નથી, અને એક પણ હપ્તો સ્થાનિક રહેવાસીઓને મળ્યો નથી.
જેથી વોર્ડ નંબર 11 ના ગુલાબ નગર સહિતના વિસ્તારના નાગરિકોને આજે રેલી સ્વરૂપે મહાનગરપાલિકાને કચેરીએ પહોંચી જઈ ડેપ્યુટી. મ્યુનિ.કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે, અને વિસ્તૃત રજૂઆત કરી સહાય આપવા માંગણી કરી છે.
સાથોસાથ જામનગર શહેર વિભાગના મામલતદારને પણ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. આ સમયે વોર્ડ નંબર 11 ના અનેક નાગરિકો જોડાયા હતા.


