જામનગર: જામજોધપુરના ગીંગણી પાસે વેણુ નદીના કોઝ-વેમાં ગાડા સાથે તણાયેલા ખેડૂતનો મૃતદેહ ભાયાવદર પાસેથી સાંપડ્યો
જામનગર,તા.29 સપ્ટેમ્બર 2021,બુધવાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના એક ખેડૂત પરમદીને વેણુ નદીના કોઝ-વે પરથી ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં ગાડા સાથે તણાઈ ગયા હતા. જેઓનો મૃતદેહ આજે ભાયાવદર પાસેથી સાંપડયો છે, અને જામ જોધપુર પોલીસની ટુકડીએ ત્યાં દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના ખેડૂત ધાનસુરભાઈ ભરવાડ પરમદીને બપોર પછી પોતાના બળદગાડા સાથે ગીંગણી ગામની કોઝવેની નદીમાં પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા, અને ભારે શોધખોળ પછી તેઓ કોઈ પત્તો સાંપડ્યો ન હતો. પરંતુ બે બળદો જ હાથ લાગ્યા હતા.
દરમિયાન આજે સવારે તેમના મૃતદેહને છેક ભાયાવદર પાસેથી મળી આવ્યો છે. જે અંગેની જાણકારી મળતાં જામજોધપુરની પોલીસ ટુકડી ભાયાવદર પાસેની નદીએ પહોંચી છે, અને ત્યાંથી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતક ખેડૂતના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.