જામનગર,તા.23 માર્ચ 2022,બુધવાર
જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા 23 માર્ચ શહીદ દિન નિમિત્તે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી, અને શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી શહીદોને નમન કરવામાં આવ્યા હતા.
જામનગર શહેર ભાજપ પરિવાર દ્વારા શહેર પ્રમુખ ડો. વિમલ કગથરાની આગેવાનીમાં હવાઈ ચોક સ્થિત શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ જામનગર ભાજપના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદોને નમન કરી વીર જવાન અમર રહે ના નારા લગાવ્યા હતા.
આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ શહીદોને નમન કરવામાં આવ્યા હતા. હવાઈ ચોક વિસ્તારમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, અને વીર સપૂતોને નમન કરાયા હતા.


