જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર
- અટકળો, ઉત્સુકતાનો આવેલો અંત
- સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે મનીષ કટારીયાની વરણી
જામનગર
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ૨૫ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે, અને તાજેતરમાં જ યોજાઈ ગયેલી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક ૫૦ બેઠકોમાં ભવ્ય વિજય મેળવી લીધા પછી રોટેશન પ્રમાણે અઢી વર્ષના ી અનામત ના પદપર મેયર કોણ થશે, અને મેયર પદ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર નું પદ કોણ સંભાળશે, તે અંગેની છેલ્લા એક સપ્તાહ થી અટકળો ચાલી રહી હતી. જેના પર આજે અંત આવ્યો છે, અને મેયર તરીકે બીનાબેન કોઠારીની વરણી કરવામાં આવી છે.
તે જ રીતે ડેપ્યુટી મેયર તરીકે તપન જશરાજભાઈ પરમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષ કટારીયાની નિમણુંક કરવામાં આવી છે. સાથોસાથ શાસક જૂથના નેતા પદે કુસુમબેન પંડયા તેમજ દંડક તરીકે કેતન ગોસરાણીની નિમણૂંક કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા નવા ૫૦ સભ્યોને ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્હિપ આપી દેવામાં આવ્યો હતો, અને ગુજરાત પ્રદેશમાંથી જામનગર જિલ્લાના પ્રભારી એવા ધનસુખભાઇ ભંડેરી આજે વહેલી સવારે જામનગર આવી પહોંચ્યા હતા. અને સૌપ્રથમ શહેર ભાજપના કાર્યાલયમાં તમામ ચૂંટાયેલા સભ્યો સાથેની બેઠક યોજાઇ હતી જેમાં ઉપરોક્ત આ પાંચેય નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યાર પછી જામનગર મહાનગર પાલિકા ના ચૂંટાયેલા સભ્યો માટેનું પ્રથમ જનરલ બોર્ડ ૧૧.૦૦ વાગ્યે મ્યુનિ. ટાઉનહોલમાં મળ્યું હતું. જેમાં તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. જે પ્રથમ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની જાહેરાત કરવામાં આવી હતી. સાથોસાથ સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.
જેમાં ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપરાંત સભ્ય તરીકે સુભાષભાઇ જોશી, કેશુભાઈ માડમ, જયરાજસિંહ જાડેજા, કિશનભાઇ માડમ, પૃથ્વી સિંહ ઝાલા, અરવિંદભાઈ સભાયા, દિવ્યેશભાઈ અકબરી, નિલેશભાઈ કગથરા, ક્રિષ્નાબેન સોઢા, બબીતાબેન લાલવાણી, અને વિનોદભાઈ ખીમસુરીયા ની વરણી કરવામાં આવી હતી. અને મહાનગરપાલિકા નવા સુકાની કોણ બનશે? તે અંગેની તમામ અટકળોનો આજે અંત આવી ગયો છે.
નવા મેયરને ગંદા પાણીની બોટલ આપી શુદ્ધ પાણી આપવા રજૂઆત
જામનગર મહાનગરપાલિકા ની પ્રથમ જનરલ બોર્ડની બેઠક આજે મહાનગર પાલિકાના ટાઉન હોલમાં મળી હતી. જેમાં વિપક્ષી નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા શહેરમાં નળ માટે મળી રહેલા ગંદા પાણીની બોટલ રજૂ કરી હતી, અને લોકોને શુદ્ધ પાણી આપવાની માગણી કરી હતી. જેથી થોડા સમય માટે બોર્ડનું વાતાવરણ ગરમાયું હતું. પરંતુ ચેર પરથી નવા વરાયેલા મેયર બીનાબેને તુરંત પ્રત્યુત્તર આપ્યો હતો એ આજના પ્રથમ જનરલ બોર્ડમાં માત્ર જે એજંડા નક્કી થયા છે, તે મુજબની જ કાર્યવાહી થશે. ત્યાર પછીના જનરલ બોર્ડમાં અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે. જે પ્રત્યુત્તર પછી મામલો શાંત પડયો હતો.
પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું સુકાન મ્યુનિ.કમિશનરે સંભાળ્યું
જામનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ચૂંટાયેલા તમામ ૬૪ સભ્યોને આવકારવામાં આવ્યા હતા. ત્યાર પછી જનરલ બોર્ડની કાર્યવાહીનો શરૂ કરાવ્યા ની સાથે એજન્ડા મુજબ મહાનગરપાલિકાના મેયર ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે બીનાબેનની પસંદગી કર્યા પછી મ્યુનિ. કમિશનર દ્વારા મિનીટસ માં સહી કરાવ્યા પછી મેયર પદનો કાર્યભાર સોંપ્યો હતો, અને જનરલ બોર્ડની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.