જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમા આજથી હરાજીનો પ્રારંભ
- 50 ખેડૂતોને એસએમએસ કરાયા હતા જે પૈકી 40 ખેડૂતોના ઘઉંની હરરાજી કરાઇ
- કાલાવડ, ધ્રોલ અને જોડિયાના માર્કેટિંગ યાર્ડમાં પણ આજથી હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરાતા યાર્ડ ધમધમતાં થયા
જામનગર, તા.15 મે 2020, શુક્રવાર
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 50 ખેડૂતોને પોતાના ઘઉં લઈને આવવા માટેના SMS કરાવાયા હતા. જે પૈકી 40 ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતો તેમજ વેપારીઓની વચ્ચે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી, અને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજે પ્રથમ દિવસે 40 ખેડૂતો આવ્યા હતા અને 1,287 ગુણીની આવક થઇ હતી. જેમાં ઘઉંનો મણનો ભાવ 340 રૂપિયાથી 435 નક્કી થયો હતો.
આવતીકાલે ચણાની હરરાજી કરવામાં આવશે જેના માટે 50 ખેડુતોને SMS કરીને બોલાવવામાં આવ્યા છે.
જામનગર ઉપરાંત ધ્રોલ અને જોડીયામાં પણ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ કાલાવડમાં ઘઉં, ચણા, કપાસ સહિત અન્ય કઠોળની પણ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર માર્કેટિંગ યાર્ડ તેમજ ધ્રોલ અને જોડિયા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને સરકાર દ્વારા બે દિવસથી ખેડૂતના ચણાની ખરીદી કરી લેવામાં આવી છે.