Updated: May 26th, 2023
image : freepik
- છોટાહાથીના ચાલકે મોટરસાયકલને ઠાકરે ચડાવતાં બે પિતરાઈ ભાઈઓ ઇજાગ્રસ્ત બન્યા પછી એકનું મૃત્યુ
જામનગર,તા.26 મે 2023,શુક્રવાર
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર સતત ચોથા દિવસે પણ અકસ્માતની હારમાળા ચાલુ રહી છે, અને વધુ એક ગોજારા અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. છોટાહાથી અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ ઇજાગ્રસ્ત બન્યા પછી એક ભાઈએ દમ તોડ્યો છે, જયારે બીજો ભાઈ સારવારમાં છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળમાં દેવીપૂજકવાસમાં રહેતા પ્રવીણભાઈ અમરશીભાઈ વાઘેલા અને તેનો પિતરાઈ ભાઈ રાજુભાઈ રવજીભાઈ વાઘેલા કે જેઓ બન્ને ગઈકાલે પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન દેવીપુજકવાસની ગોળાઈ આગળ લતીપુર રોડ તરફ પુર ઝડપે આવી રહેલા જી.જે.20 ટી.એક્સ.6038 નંબરના છોટા હાથીના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગમખ્વારા અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ ઘાયલ થયા હતા, અને બાઈકના ચાલક પ્રવીણભાઈ વાઘેલાનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે જયારે તેના પિતરાઈ ભાઈ રાજુભાઈ વાઘેલા ઇજાગ્રસ્ત બન્યો હોવાથી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
મૃતકના નાના ભાઈ બાલાભાઈ અમરશીભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધ્યો છે. જે ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.