જામનગરના તમામ કોર્પોરેટરો પોતાનું એક માસનું માનદવેતન મુખ્યમંત્રી રાહત ફંડમા આપશે
જામનગર, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો કે જેમાં શાસક પક્ષ તથા વિરોધ પક્ષના તમામ સભ્યો કોરોનાવાયરસની લડાઈમા સહભાગી થવાના અનુસંધાને પોતાનું એક માસનું વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે, તેવી મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખ જેઠવા ના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી જેમાં મહાનગરપાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટરો તેમજ વિરોધ પક્ષના નેતા પણ હાજર રહ્યા હતા, અને વર્તમાન સમયમાં કોરોનાવાયરસ ની લડતમાં સામેલ થવા ના ભાગરૂપે પોતાનું એક માસનું વેતન મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત લોકડાઉન દરમિયાન શહેરીજનો પોતાના ઘરમાં જ રહે અને વહીવટી તંત્રની અપીલ નું પાલન કરે તેમજ કોરોનાવાયરસ સામેની લડાઈમાં સહભાગી બની પોતાના ઘર આસપાસના વિસ્તારમાં સફાઇ રાખે, જયાં ત્યાં કચરો ન ફેંકે એવી પણ નમ્ર અપીલ કરવામાં આવી છે.