જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં એક સપ્તાહની કવાયત પછી આખરે ભુગર્ભ ગટરના પાણીને ડાયવર્ટ કરી શકાયું
એક સપ્તાહથી પાણીથી વંચિત રહેલા 500થી વધુ ઘરોમાં આખરે આજે મેઇનલાઈન રીપેર કરીને પાણી વિતરણ શરૂ કરાયું
જામનગર, તા. 27 માર્ચ 2023 સોમવાર
જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં ઓવરબ્રિજના કામ દરમિયાન ભૂગર્ભ ગટરની કેનાલ નો એક સ્લેબ ધરાશાઇ થઈ જતાં ગટરના ગંદા પાણીનો નિકાલ થતો અટક્યો હતો, અને ગુરુદ્વારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જે સમસ્યા આખરે દૂર કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી મશીનરી ને કામે લગાવીને આખરે કેનાલનું પાણી વહેતું કરવાની પ્રક્રિયાઓ હાથ ધરી લીધી છે.
ત્યારબાદ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી વોટરપાર્ક વિભાગની કામગીરી પૂરી કરી લેતાં આજે એક સપ્તાહ પછી પાણી વિતરણ શરૂ કરાયું છે. જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં ડો.રૂપરેલીયા ના દવાખાના નજીક કેનાલના કામકાજ દરમિયાન અકસ્માતે જેસીબી મશીન ભૂગર્ભ ગટરની દીવાલને ઠોકર વાગવાથી દિવાલ ધરાશાહી થઈ ગઈ હતી, અને સિમેન્ટના સ્લેબ નો ભાગ ધસી પડતાં ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ અવરોધાયો હતો, અને ગુરુદ્વારા સહિતના આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેથી અંદાજે ૫૦૦ જેટલા ઘરને વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી, અને આ વિસ્તારમાં પાણી વિતરણ પણ ખોરંભે પડી ગયું હતું.
ભૂગર્ભ ગટર વિભાગના અધિકારી અમિત કણસાગરાની રાહબરી હેઠળ જેટિંગ મશીન, રોડિંગ મશીન, અને બકેટ મશીન ને કામે લગાડવામાં આવ્યા પછી આખરે પાંચ દિવસની કવાયત બાદ શનિવારે મોડી રાત્રે તૂટેલા સ્લેબનો હિસ્સો કેનાલમાંથી બહાર કાઢી લઈબે ભૂગર્ભ ગટરના પાણીને વાળવા માટેની પ્રક્રિયા હાથ ધરી લેવાતાં આખરે ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ થઈ છે, અને પાણીને ડાયવર્ટ કરીને મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારબાદ ગઈકાલે રવિવારે વોટર વર્કસ વિભાગની ટીમ દ્વારા પણ વાયાતા કરવામાં આવી હતી અને પાણીના વાલ્વ સહિતની પાઇપલાઇનને નુકસાની પહોંચી હતી. જ્યાં ઇજનેર નરેશ પટેલની રાહબરી હેઠળ સમાર કામ પૂરું કરી લેવામાં આવ્યું હતું, અને આજે સોમવારે સવારે ૧૧.૦૦ વાગ્યા સુધીમાં મરામતની કામગીરી પૂર્ણ થઈ જતા પાણીનો ટેસ્ટિંગ કરી લઈ આસપાસના વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
છેલ્લા એક સપ્તાહ થી આ વિસ્તાર પાણીથી વંચિત રહ્યો હતો, અને પાણી વિતરણ નહીં થતાં ૫૦૦ ઘરો ને અસર થઈ હતી. જે પૈકી કેટલાક ઘરોમાં ત્રણ વખત ટેન્કરના ફેરા કરીને પાણી આપવાનો પ્રયાસ થયો હતો, અને સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા ના પ્રયાસોને લઈને કેટલોક વિસ્તાર પાણી મેળવતો થયો હતો પરંતુ આજે સમગ્ર વિસ્તારમાં ક્રમશઃ પાણી વિતરણ ની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.
વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશભાઇ કગથરા દ્વારા ગટરના પાણી ઓશરી ગયા પછી જ્યાં જ્યાં કચરો ફેલાયો હોય, તે સમગ્ર વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી લેવા માટે સફાઈ કામદારોની ટીમને પણ બોલાવી લીધી છે, અને સફાઈ કાર્ય શરૂ કરી દેવાયું છે.