જામનગર- લાલપુર ધોરીમાર્ગ પર ગોઝારો અકસ્માત સર્જાયો, 2ના મોત, 11 ઈજાગ્રસ્ત
- ભણગોર નજીક વડવાળા ગામથી લગ્ન પ્રસંગ માટે ટાટા 407 જામનગર તરફ આવતું હતું
જામનગર, તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
જામનગર લાલપુર ધોરીમાર્ગ પર આજે સવારે એક ગોઝારો અકસ્માત બન્યો છે. ભણગોર ગામ નજીક આવેલા વડવાળા ગામમાંથી જાનનો એક ટેમ્પો જામનગરના ગુલાબનગર વિસ્તારમાં લગ્નપ્રસંગે આવી રહ્યો હતો. જે દરમિયાન ધરમપુર ગામના પાટિયા પાસે ટેમ્પો પલટી ખાઇ જતાં ગમખ્વારઅકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ટેમ્પોની અંદર બેઠેલા ભાઈ-બહેનના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત અન્ય 11 લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. જે પૈકી 5 મહિલા સહિત છ ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર લાલપુર ધોરીમાર્ગ પર ધરમપુર ગામના પાટીયા પાસે આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં જીજે 10 ટીવી 8868 નંબરનું ટાટા 407 અકસ્માતે પલટી મારી ગયું હતું. જે અકસ્માતમાં ટેમ્પોની અંદર બેઠેલા ભણગોર નજીક વડવાળા ગામના બાબુભાઈ ઉર્ફે મધુભાઇ ગલાભાઇ ડેર (ઉંમર વર્ષ 55) અને તેના જ સગા મોટા બેન કુતિયાણાના વતની જીવીબેન પરબતભાઈ બાટવા (ઉંમર વર્ષ 60) બંનેના ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
આ ઉપરાંત ટેમ્પોમાં બેઠેલા ટાટા 407ના ચાલક વડવાળા ગામના વતની દેવાભાઈ ડાડૂભાઇ જોગલ (ઉ.વર્ષ 33) તેમજ મણિબેન મથથર (ઉંમર વર્ષ 60), આજીબેન મેરામણભાઇ ડેર (ઉં.વ. 70), રૂપલબેન પરબતભાઈ ડેર (ઉ.વર્ષ 13), કાજલબેન પરબતભાઈ ડેર (ઉંમર વર્ષ 14), અને મૌલિક દેવાભાઈ ડેર (ઉંમર વર્ષ 35) વગેરેને નાની-મોટી ઇજા થઈ હોવાથી લાલપુર અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે જેમાં એક મહિલાની હાલત અત્યંત ગંભીર ગણાવાઇ રહી છે.
આ અકસ્માતની જાણ થતા લાલપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ લાલપુરની સરકારી હોસ્પિટલ અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં દોડી ગયો છે અને આ અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના સ્થળે રહેલા બન્ને મૃતદેહોનો કબજો સંભાળી લાલપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન વડવાળા ગામમાંથી ટાટા 407મા કેટલાક જાનૈયાઓ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવતા હતા અને ડ્રાઇવર સહિત 13 વ્યક્તિ ટાટા 407માં બેઠા હતા. જેને આ અકસ્માત નડતા બે વ્યક્તિના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે. આ અકસ્માતના બનાવને પગલે જામનગરમાં યોજાયેલ લગ્ન પ્રસંગ સાદગીથી અને ઝડપભેર પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.