- યુવક હજુ એક અઠવાડિયા પહેલાં જ વિસ્તારામાં રહેવા આવ્યો હતો
જામનગર 18,
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી માં એક ભાડાના મકાનમાં એક સપ્તાહ પહેલાં જ રહેવા માટે આવેલા પાટણના શંખેશ્વર ગામના એક યુવાને રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
જામનગરના ખોડિયાર કોલોની નજીક નીલકમલ સોસાયટી શેરી નંબર પાંચમા ભાડાના મકાનમાં રહેતા મૂળ પાટણ તાલુકાના શંખેશ્વર ગામ ના હિતેશ હરિભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે પોતાના રૂમમાં પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના રૂમ-પાર્ટનર કૌશિક મનુભાઈ સિંધવ એ પોલીસને જાણ કરતાં સિટી સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પુછપરછ દરમિયાન મૃતક યુવાનને એક સપ્તાહ પહેલા જામનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી મળી હતી, અને ત્રણ રૂમ પાર્ટનર ભાડાનું મકાન રાખીને સપ્તાહ પહેલાંજ રહેવા આવ્યા હતા. દરમિયાન ગઈકાલે મૃતકે આ પગલું ભરી લેતાં પોલીસ દ્વારા તેના પરિવારને શંખેશ્વર જાણ કરવામાં આવી છે, અને તેઓની વધુ પુછપરછ શરૂ કરાઇ છે.


